નવી દિલ્હીઃ દિલ્હીમાં દારૂની કિંમતો પર 70 ટકા કોરોના ટેક્સ લગાવવા વિરુદ્ધ શુક્રવારે હાઇકોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. દિલ્હી સરકારે ત્રણ મેના રોજ સરકાર તરફથી સંચાલિત દારૂની તમામ 150 દુકાનો ખોલવાના નિર્દેશ આપ્યા હતા. જેના આગામી દિવસે એટલે કે ચાર મેના રોજ સરકારે તમામ પ્રકારના દારૂ પર 70 ટકા વિશેષ કોરોના ટેક્સ લગાવી દીધો હતો.


સરકારના આ નિર્ણય વિરુદ્ધ શુક્રવારે દાખલ અરજી પર 11 મેના રોજ સુનાવણી હાથ ધરાય તેવી સંભાવના છે. અરજીમાં ચાર મેના એ નોટિફિકેશનને રદ કરવાની અપીલ કરવામાં આવી છે. જનહિત અરજી દાખલ કરનારા વકીલ લલિત વલેચાએ સરકારના આ નિર્ણયને મનસ્વી ગણાવ્યો છે.

નોંધનીય છે કે દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનના ત્રીજા તબક્કા વચ્ચે દિલ્હી સરકારે દારૂ ખરીદવા માટે નવી વ્યવસ્થા શરૂ કરી છે. લોકડાઉનના ત્રીજા તબક્કા વચ્ચે લોકોને કેટલીક છૂટ મળી છે. જેમાં દારૂ પર લગાવાયેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. બાદમાં લોકોની ભીડ દારૂની દુકાન પર લાગી હતી. ભીડને ઓછી કરવા માટે દિલ્હી સરકારે ઇ-ટોકન જાહેર કર્યા છે.