નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના સંક્રમિત દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાને લઈ નવી નીતિ તૈયાર કરી છે. જે મુજબ કોરોનાના હળવા કે મધ્યમ લક્ષણ વાળા દર્દીને ઠીક થયા બાદ ટેસ્ટિંગ વગર પણ ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે. પરંતુ આ માટે એવી શરત છે કે દર્દીને ઓક્સિજનની જરૂર ન પડી હોવી જોઈએ અને સતત ત્રણ દિવસ સુધી તાવ ન આવ્યો હોવો જોઈએ. આ ઉપરાંત ડિસ્ચાર્જ પછી 7 દિવસ સુધી ઘરે જ આઈસોલેશનમાં રહેવું ફરજિયાત રહેશે.


કોવિડ કેયર ફેસિલિટીથી ડિસ્ચાર્જ થતા પહેલા જો કોઈ સમયે દર્દીનું ઓક્સીજન સેચુરેશન 95 ટકાથી નીચે આવે તો તેને ડેડિકેટેડ કોવિડ કેર ફેસિલિટીમાં એડમિટ કરાવાશે. ડિસ્ચાર્જ બાદ જો ઠીક થયેલા વ્યક્તિમાં ફરીથી તાવ, કફ કે શ્વાસ લેવામાં તકલીફ જેવી કોરોના સંબંધિત લક્ષણ આવે તો કોવિડ કેર ફેસિલિટી કે રાજ્યના હેલ્પલાઇન નંબર 1075 પર સંપર્ક કરશે. તેનું સ્વાસ્થ્ય ટેલી કોન્ફરન્સિંગ દ્વારા 14માં દિવસે જાણવામાં આવશે.


ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં દાખલ થયેલા દર્દીમાં લક્ષણ 3 દિવસમાં ખતમ થઈ જાય અને ઓક્સીજન સેચુરેશન લેવલ આગામી 4 દિવસ સુધી 95 ટકા કે તેથી વધુ બની રહે તો 10 દિવસ બાદ ડિસ્ચાર્જ કરાશે.  આવા દર્દીને ઘરમાં 7 દિવસ સુધી આઈસોલેશનમાં રહેવું પડશે.

આ ઉપરાંત ઓક્સીજન આપવામાં આવ્યો હોય અને 3 દિવસ બાદ પણ તાવ ઠીક ન થયો હોય અને ઓક્સીજન આપવો પડતો હોય તેવા દર્દીને તમામ લક્ષણો સામાન્ય થયા બાદ જ ડિસ્ચાર્જ કરવામાં આવશે.

નબળી ઈમ્યૂન સિસ્ટમ વાળા કેસ કે ગંભીર રીતે બીમાર કેસમાં સંક્રમણથી મુક્ત થયા બાદ દર્દીના RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ ડિસ્ચાર્જ કરવામાં આવશે.