PM Cares Fundમાં 13 લાખ રેલવે કર્મચારીઓ 151 કરોડ રૂપિયા દાન આપશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Mar 2020 04:51 PM (IST)
રેલવેમંત્રી પિયૂષ ગોયલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, રેલવેના 13 લાખ કર્મચારીઓ 151 કરોડ રૂપિયા PM Cares Fundમાં દાન આપશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ કોરોના વિરુદ્ધ લડાઇ માટે PM Cares Fundની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ દેશભરના લોકો મદદ માટે આગળ આવ્યા છે. લોકો પોતાની ક્ષમતા અનુસાર દાન આપી રહ્યા છે. વડાપ્રધાન આ ફંડના અધ્યક્ષ છે અને આ ઉદેશ્ય માટે pmindia.gov.in વેબસાઇટ બનાવવામાં આવી છે. રેલવેમંત્રી પિયૂષ ગોયલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, રેલવેના 13 લાખ કર્મચારીઓ 151 કરોડ રૂપિયા PM Cares Fundમાં દાન આપશે. તે સિવાય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ એક મહિનાનો પગાર આપશે. તે સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પીએમ કેયર્સ ફંડમાં એક મહિનાનો પગાર આપવાની જાહેરાત કરી હતી. આ અગાઉ વડાપ્રધાન ઓફિસે એક નિવેદનમાં કહ્યું કે, કોરોના મહામારી સામે લડવા વિશેષ રાષ્ટ્રીય ફંડની આવશ્યકતાને જોતા આ ફંડ બનાવવામાં આવ્યું છે. આ ફંડના સભ્યોમાં સંરક્ષણ મંત્રી, ગૃહમંત્રી અને નાણામંત્રી સામેલ છે.