અજમેરઃ રાજસ્થાનના મુખ્યમંત્રી વસુધરા રાજેની ગૌરવ યાત્રાના સમાપન અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અજમેર પહોંચ્યા હતા. વસુધરા રાજેએ ગયા 4 ઓગસ્ટના રોજ આ યાત્રાની શરૂઆત કરી હતી. જેના સમાપન સમારોહમાં આજે વડાપ્રધાન અજમેરના કાયડ પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરૂઆત વસુંધરા રાજેને રાજસ્થાનની લોકપ્રિય અને યશસ્વી મુખ્યમંત્રી ગણાવતા તેમની પ્રશંસા કરી હતી.

લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું એજ નરેન્દ્ર મોદી છું જે ક્યારેક સૈનીજીની સાથે સ્કૂટર પર બેસીને સંગઠનનું કામ કરતો હતો. દેશ અને દુનિયામાં ભલે હું વડાપ્રધાન હોય પરંતુ બીજેપી માટે હું એક કાર્યકર્તા છું. મને નાના બુથ પર બોલાવવામાં આવશે તો પણ હું જઇશ.

મોદીએ પોતાના સંબોધનમાં વોટબેન્કની રાજનીતિને લઇને વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, એક તરફ વોટ બેન્કની રાજનીતિનો ખેલ છે જ્યારે બીજી તરફ સૌનો સાથ સૌનો વિકાસ છે. આ રાજનીતિમાં જમીન અને આસમાનનો ફર્ક હોય છે. જે વોટ બેન્કની રાજનીતિ કરે છે તે ક્યારેક હિન્દુ મુસ્લિમ કરે છે તો ક્યારેક ઉચ્ચ વર્ગ અને ક્યારેક નિમ્ન વર્ગ કરે છે. ક્યારેક અમીર-ગરીબ, ક્યારેક વૃદ્ધ-યુવા એટલે કે જ્યાં તક મળે છે એકબીજાને સામે લાવી દે છે અને રાજનીતિ કરવા લાગે છે. તોડવુ સરળ હોય છે. અમે જોડનારા છીએ.

મોદીએ ગાંધી પરિવાર અને કોગ્રેસના નેતાઓ પર વ્યંગ કરતા કહ્યું કે, કોગ્રેસના નેતાઓની રાજનીતિ એક પરિવારની આરતી કરવાથી ચાલે છે. તેમનો હાઇ કમાન એક પરિવાર છે અને અમારો હાઇ કમાન પ્રદેશની જનતા છે. એટલા માટે પરિવારની પૂજા કરનારા પાસેથી રાજસ્થાનની જનતાને કોઇ આશા નથી.