PM Modi WFH appeal: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાના પ્રવાસ દરમિયાન દેશવાસીઓને એક ખૂબ જ મહત્વની અપીલ કરી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને આર્થિક સંકટનો સામનો કરવા માટે તેમણે લોકોને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવા, ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ કરવા અને સ્કૂલોમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસ ચલાવવાની સલાહ આપી છે. આ ઉપરાંત, વિદેશી હૂંડિયામણ બચાવવા માટે સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સોનાની ખરીદી ટાળવા અને ખેડૂતોને નેચરલ ફાર્મિંગ અપનાવવાનો પણ આગ્રહ કર્યો છે.
પશ્ચિમ એશિયાનું સંકટ અને આપણી જવાબદારી
વડોદરામાં સરદારધામ-3 ના લોકાર્પણ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું કે, આપણે બધાએ સાથે મળીને પહેલા કોરોના જેવી મહામારીનો સામનો કર્યો અને હવે પશ્ચિમ એશિયામાં યુદ્ધનું એક નવું મોટું સંકટ ઊભું થયું છે. આ લડાઈના કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે અને વિદેશથી આવતી વસ્તુઓ, ખાસ કરીને ક્રૂડ ઓઈલ ખૂબ મોંઘું થઈ ગયું છે. મોદીએ કહ્યું કે, અત્યારે દેશને જનભાગીદારીની સખત જરૂર છે. ભૂતકાળમાં પણ દેશ જ્યારે મુશ્કેલીમાં હતો ત્યારે જનતાએ સાથ આપ્યો છે, અને આજે ફરી આપણે નાના-નાના પ્રયાસો કરીને દેશના સંસાધનો પરનો બોજ ઓછો કરવાનો છે.
પેટ્રોલ બચાવો, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને WFH અપનાવો
પીએમ મોદીએ સીધી જનતા સાથે વાત કરતા કહ્યું કે, "મારા દેશના નાગરિકો પર મારો પૂરો હક છે, એટલે હકથી કહી રહ્યો છું." તેમણે લોકોને રોજિંદા જીવનમાં કેટલાક બદલાવ લાવવા અપીલ કરી:
બને ત્યાં સુધી પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો.
કારમાં એકલા જવાને બદલે કારપૂલિંગ કરો અથવા મેટ્રો, ઇલેક્ટ્રિક બસ (EV) અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરો.
ખાનગી અને સરકારી ઓફિસોમાં વર્ચ્યુઅલ મીટિંગ અને 'વર્ક ફ્રોમ હોમ' ને પ્રાથમિકતા આપો.
શાળાઓમાં પણ થોડા સમય માટે બાળકોને ઓનલાઈન ક્લાસીસ દ્વારા ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવે.
પીએમ મોદીની અપીલ બાદ હવે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ મુદ્દે આપ્યું નિવેદન - દેશમાં 60 દિવસ સુધી....
સોનું ન ખરીદો, 'વોકલ ફોર લોકલ' બનો
સોનાની આયાત પાછળ દેશના અબજો રૂપિયા વિદેશ જાય છે. આથી વડાપ્રધાને લોકોને ત્યાં સુધી સોનું ન ખરીદવા જણાવ્યું છે જ્યાં સુધી વૈશ્વિક સ્થિતિ સામાન્ય ન થઈ જાય. તેમણે 'વોકલ ફોર લોકલ' ને એક જન-આંદોલન બનાવીને વિદેશી વસ્તુઓની જગ્યાએ સ્થાનિક વસ્તુઓ અપનાવવા પર ભાર મૂક્યો. સાથે જ, દેશમાં મોટા પ્રમાણમાં વિદેશી ખાતરની આયાત કરવી પડતી હોવાથી ખેડૂતોને કેમિકલવાળા ખાતરનો મોહ છોડીને નેચરલ ફાર્મિંગ (પ્રાકૃતિક ખેતી) તરફ વળવા અને ડીઝલ પંપની જગ્યાએ સોલાર પંપ વાપરવાની પણ સલાહ આપી.
સરદાર ગૌરવ રત્ન એવોર્ડ અને પોખરણની યાદ
વડોદરાના આ કાર્યક્રમમાં પાટીદાર સંસ્થાઓ દ્વારા પીએમ મોદીનું 'સરદાર ગૌરવ રત્ન એવોર્ડ' થી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે તેમણે કહ્યું કે, "જે એવોર્ડ સાથે સરદાર પટેલનું નામ જોડાય એટલે જવાબદારી વધી જાય છે. ગુજરાત મારા સ્વભાવને જાણે છે કે મને પાછા વળતા નથી આવડતું. હું સરદાર સાહેબના સપના પૂરા કરવામાં કોઈ કચાશ નહીં રાખું."
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
નોંધનીય છે કે, આ અગાઉ સવારે સોમનાથ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં પણ પીએમ હાજર રહ્યા હતા. ત્યાં તેમણે 11 મે, 1998 ના રોજ થયેલા પોખરણ પરમાણુ પરીક્ષણ (ઓપરેશન શક્તિ) ને યાદ કરીને દેશની તાકાત અને અડીખમ વલણની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, તે સમયે દુનિયાભરના દેશોએ આપણા પર દબાણ કર્યું હતું, પણ આપણે ડર્યા વગર અડગ રહ્યા હતા.
