COVID 19: PM મોદીએ કહ્યું- આવનારા દિવસોમાં ઘણા તહેવાર આવશે, લોકોમાં સંક્રમણ ન ફેલાય તેના માટે સાવધાની જરૂરી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Jul 2020 09:30 PM (IST)
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નોઈડા, મુંબઈ અને કોલકાતામાં ઉચ્ચ ક્ષમતા વાળી Covid-19 ત્રણ નવી લેબનું ઈ-ઉદ્ધાટન કર્યું.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નોઈડા, મુંબઈ અને કોલકાતામાં ઉચ્ચ ક્ષમતા વાળી Covid-19 ત્રણ નવી લેબનું ઈ-ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજે દેશમાં કરોડો નાગરિકો કોરોના વાઈરસ વિરુદ્ધ ઝડપથી લડી રહ્યાં છે. આજે જે હાઈટેક લેબનું ઉદ્ધાટન થયું છે તેનાથી મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશને કોરોના સામે લડાઈ લડવામાં વધારે ફાયદો મળશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, દિલ્હી-એનસીઆર, મુંબઈ અને કોલકાત્તા આર્થિક ગતિવિધિઓના દ્રષ્ટિકોણથી ઘણાં મહત્વપૂર્ણ છે. અહીં દેશના લાખો યુવાનો પોતાના સપના પૂર્ણ કરવા આવે છે. તેવામાં દેશની હાલની ટેસ્ટ કેપેસિટિમાં 10000નો વધારો થઈ જશે. હવે શહેરોમાં વધારે ઝડપથી ટેસ્ટ થઈ શકશે. આ લેબ માત્ર કોરોના ટેસ્ટ પુરતી સિમિત નહી રહે પરંતુ ભવિષ્યમાં એચઆઈવી, ડેન્ગ્યૂ સહિત અન્ય ખતરનાક બિમારીઓની તપાસ પણ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું આજે ભારતમાં પાંચ લાખથી વધુ ટેસ્ટ દરરોજ થઈ રહ્યા છે અને આવનારા સપ્તાહમાં તેને 10 લાખ પ્રતિદિવસ કરવાની કોશિશ થઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે આવનારો સમય તહેવારોનો છે. આપણા આ ઉત્સવ, ઉલ્લાસનું કારણ બને, લોકોમાં સંક્રમણ ન ફેલાય તેના માટે આપણે સાવધાની રાખવી પડશે. આપણે એ પણ જોતા રહેવું પડશે કે તહેવારના આ સમયમાં ગરીબ પરિવારોને કોઈ પરેશાની ન થાય.