નવી દિલ્હી: મિશન 2019 માટે વડાપ્રાધન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના આજમગઢથી એક તરફી લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. પીએમ મોદીએ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન અને કૉંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું કે કૉંગ્રેસ અધ્યક્ષ કહે છે કે કૉંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે, પરંતુ એ નથી જણાવતા કે શું માત્ર મુસ્લિમ પુરુષોની પાર્ટી છે કે મહિલાઓની પણ? ત્રણ તલાક મુદ્દે વિપક્ષ પાર્ટીઓ મુસ્લિમ બહેનો-દિકરીઓ સાથે અન્યાય કરી રહ્યા છે.

વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનને લઈને કહ્યું કે, જેઓ ક્યારેક એકબીજાને જોવાનું પસંદ નહોતા કરતા તેઓ હવે એકજૂથ થઈ રહ્યા છે. પોતાના સ્વાર્થ માટે તમામ પરિવારવાદી પાર્ટીઓ તમારા વિકાસને રોકી રહી છે. પીએમ મોદીએ આજમગઢમાં 340 કિલોમીટર લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ વે નો શિલાન્યાસ કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું , “મે સમાચાર વાચ્યાં હતા કે, કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષે કહ્યું હતું કે કૉંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે. છેલ્લા બે દિવસથી તેના પર ચર્ચા ચાલી રહી છે, મને તેના પર આશ્ચર્ય નથી. કારણ કે સ્વંય પૂર્વ વડાપ્રધાન મોનમોહન સિંહે કહ્યું હતું કે દેશના પ્રાકૃતિક સંસાધનો પર સૌથી પહેલો અધિકાર મુસ્લિમોનો છે. હું કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષને પૂછવા માંગું છું કે કૉંગ્રેસ પાર્ટી માત્ર મુસ્લિમ પુરુષોની છે કે મહિલાઓની પણ છે. શું મુસ્લિમ મહિલાઓનું માન, સમ્માન અને હક માટે કોઈ સ્થાન છે? સંસદમાં કાયદો રોકીને બેછી જાય છે અને સંસદ ચાલવા દેતા નથી.

પીએમ મોદીએ વધુમાં કહ્યું, “મોદીને હટાવવા માટે દિવસ-રાત એક કરી રહેલી પરિવારવાદી પાર્ટીઓને હું કહેવા માંગું છું કે આ લોકો ત્રણ તલાક અને હલાલાથી પીડિત મહિલાઓને પહેલા મળી આવે પછી પોતાની વાત કહે. 21 મી સદીમાં પણ 18મી સદીની વાતો કરનારા મોદીને હટાવવાનો નારો આપી શકે છે. પરંતુ દેશનો ઉદ્ધાર નથી કરી શકતા.