નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ પીએમ મોદીએ લોકડાઉનમાં છઠ્ઠી વખત દેશને સંબોધન કર્યુ હતું. આજે અનલોક-1નો છેલ્લો દિવસ છે, આવતીકાલથી અનલોક-2ની શરૂઆત થશે. આજના સંબોધનમાં કોરોના વાયરસના વધતા કેરને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. મોદીએ કહ્યું, અનલોક-1 બાદ બેદરકારી વધી છે , જે ચિંતાનું કારણ છે.


અનલોક-1ને લઈ શું બોલ્યા પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, જ્યારથી અનલોક-1 થયું છે ત્યારથી વ્યક્તિગત અને સામાજિક વ્યવહારમાં લાપરવાહી વધતી જઈ રહી છે. પહેલા આપણે માસ્કને લઈ, બે ગજનું અંતરને લઈ, 20 સેંકડ સુધી દિવસમાં અનેક વખથ હાથ ધોવાને લઈ ખૂબ સતર્ક હતા.

કન્ટેનમેન્ટ ઝોનમાં નિયમોનું નથી કડક પાલન

લોકડાઉન દરમિયાન ખૂબ ગંભીરતાથી નિયમોનું પાલન કરવામાં આવતું હતું. હવે સરકારોએ, દેશના નાગરિકોએ ફરીથી આ પ્રકારની સતર્કતા દાખવવાની જરૂર છે. ખાસ કરીને કન્ટેનમેન્ટ ઝોનમાં આપણે ખૂબ ધ્યાન આપવું પડશે. જે લોકો હજુ પણ નિયમોનું પાલન નથી કરી રહ્યા તેમને ટોકવા પડશે, રોકવા પડશે અને સમજાવવા પડશે.

આ દેશના પ્રધાનમંત્રીને માસ્ક ન પહેરવા બદલ થયો  દંડ

આ દરમિયાન મોદીએ કહ્યું કે, તમે સમાચારમાં જોયું હશે કે એક દેશના પ્રધાનમંત્રીએ માસ્ક નહોતું પહેર્યું તેથી તેમના પર 13 હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો. ભારતમાં પણ સ્થાનિક તંત્રએ આવી ચુસ્તતાથી કામ કરવું જોઈએ. આ 130 કરોડ ભારતીયોની રક્ષાનું અભિયાન છે. ગામનો સરપંચ હોય કે દેશનો પ્રધાનમંત્રી કોઈપણ નિયમોથી ઉપર નથી. મોદીએ તેમના ભાષણમાં બુલ્ગારિયાના પ્રધાનમંત્રી બોઈકો બોરિસોવનું આ ઉદાહરણ આપ્યું હતું. બોરિસોવે તાજેતરમાં ચર્ચમાં માસ્ક વગર જવા બદલ 13 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.