દેહરાદૂન: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ગુરૂવારે ચાર કલાક સુધી દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર રોકાયા હતા. ખરાબ હવામાનના કારણે તેમનું હેલિકોપ્ટર ઉડાન ન ભરી શક્યું. તેમનો રૂદ્રપુરમાં એક રેલીને સંબોધન કરવાનો કાર્યક્રમ છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે પ્રધાનમંત્રી સવારે આશરે સાત વાગ્યે એરપોર્ટ પહોંચ્યા હતા. હવામાન બરાબર થયા બાદ સવારે 11 વાગ્યે 15 મિનિટે તેમણે મુસાફરીની શરૂઆત કરી હતી. સવારથી જ અહીં વરસાદ પડી રહ્યો છે.


અધિકારીઓએ જણાવ્યું કે મોદીએ એરપોર્ટના ગેસ્ટહાઉસમાં રાહ જોઈ હતી. તેઓ એમઆઈ-17 હેલિકોપ્ટરથી કૉર્બેટ ટાઈગર રિઝર્વ માટે રવાના થયા જ્યાં થોડો સમય પસાર કરશે. ત્યારબાદ તેઓ એક રેલીને સંબોધન કરવા અને રાજ્ય એકીકૃત સહકારી વિકાસ પરિયોજનાનો શુભારંભ કરવા ઉધમ સિંહ નગર જિલ્લાના રૂદ્રપુર જશે. પ્રધાનમંત્રી રાજ્ય સરકારની દીન દયાલ ઉપાધ્યાય કૃષિ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને ચેક પણ વિતરણ કરશે.