નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે સોમવારે કોગ્રેસ નેતા રાહુલ ગાંધી અહીંના નૂંહ વિધાનસભા ક્ષેત્ર પહોંચ્યા હતા. રાહુલે લોકોને સંબોધિત કરતા કહ્યું કે, નરેન્દ્ર મોદી અંબાણી-અદાણીના લાઉડસ્પીકર છે અને દિવસભર તેમની વાત કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં જે બેરોજગારી છે અને જે અર્થવ્યવસ્થાની હાલત છે તમે જોજો છ મહિના બાદ અહી શું થાય છે. દેશમાં યુવાઓને વધુ દિવસ સુધી બેવકૂફ બનાવી રાખી શકાતા નથી. તમે છ મહિના અને એક વર્ષ સુધી સરકાર ચલાવી શકો છો પરંતુ એક દિવસ સચ્ચાઇ બહાર આવશે. પછી જોજો દેશમાં અને નરેન્દ્ર મોદીનું શું થાય છે.


કોગ્રેસ નેતાએ કહ્યું કે આ દેશમાં અલગ અલગ જાતિ અને ધર્મના લોકો રહે છે. અહીં અમીર અને ગરીબ લોકો એક સાથે રહે છે. આ તમામને આપણે હિંદુસ્તાન કહીએ છીએ. કોગ્રેસ તમામની પાર્ટી છે અને અમારું કામ લોકોને જોડવાનું છે. ભાજપ અને આરએસએસનું કામ જે રહેલા અંગ્રેજ કરતા હતા દેશને તોડવાનું કામ અને દેશમાં એકબીજાને લડાવવાનું કામ કરે છે.

નોટબંધી અને જીએસટી પર કટાક્ષ કરતા રાહુલે  કહ્યુ કે, પ્રથમ નોટબંધી કરી દેશમાં તમામને લાઇનમાં ઉભા રાખી દીધા. એ લાઇનમાં અનિલ અંબાણી અને અદાણીને શું તમે જોયા. આ દરમિયાન બ્લેકમની ધરાવતો કોઇ વ્યક્તિ લાઇનમાં લાગ્યો નથી. બાદમાં ગબ્બરસિંહ ટેક્સ આવ્યો. અહીં કોઇ છે જે કહે કે મને જીએસટીથી ફાયદો થયો છે. નાના દુકાનદારો, મીડલ ક્લાસ બિઝનેસ ખત્મ થઇ ગયો કારણ કે તેમનો બિઝનેસ મોદીએ પોતાના 15-20 મિત્રોને આપવા માંગે છે.