ભારત અને ઇઝરાયલ વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં આજે એક નવો સુવર્ણ અધ્યાય લખાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલની સંસદ 'નેસેટ' ને સંબોધિત કરી આતંકવાદના રાક્ષસ સામે વૈશ્વિક એકતાનો હાકલ કરી હતી. આ ઐતિહાસિક મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાનો અને આતંકવાદ સામે 'ઝીરો ટોલરન્સ' ના ભારતના મક્કમ સ્ટેન્ડને વિશ્વ સમક્ષ રાખવાનો હતો. પીએમ મોદીના આગમન સાથે જ ઇઝરાયલી સંસદ 'મોદી, મોદી' ના નારાઓથી ગુંજી ઉઠી હતી અને તેમને ઇઝરાયલી સંસદનું સર્વોચ્ચ સન્માન 'નેસેટ મેડલ' એનાયત કરવામાં આવ્યું હતું.
બે પ્રાચીન સભ્યતાઓનો સંગમ અને મિત્રતાનો સંદેશ
પીએમ મોદીએ તેમના પ્રવચનની શરૂઆતમાં ઇઝરાયલી સંસદમાં ઉભા રહેવાને પોતાનું સૌભાગ્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, તેઓ માત્ર ભારતના પ્રધાનમંત્રી તરીકે જ નહીં, પરંતુ એક પ્રાચીન સભ્યતાના પ્રતિનિધિ તરીકે અહીં આવ્યા છે. 1.4 અબજ ભારતીયો તરફથી મિત્રતા, આદર અને ભાગીદારીનો સંદેશ લાવતા મોદીએ ઉમેર્યું કે ભારત અને ઇઝરાયલનો સંબંધ માત્ર વ્યવહારિક નથી, પરંતુ આત્મીય છે. નોંધનીય છે કે, પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950 ના રોજ થયો હતો, જે દિવસે ભારતે ઇઝરાયલને સત્તાવાર રીતે માન્યતા આપી હતી, આ સંયોગનો ઉલ્લેખ કરી તેમણે સંબંધોની ઊંડાઈ સમજાવી હતી.
આતંકવાદ પર આકરા પ્રહાર: 26/11 અને 7 ઓક્ટોબરની પીડા સમાન
પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાને આતંકવાદના મુદ્દે પાકિસ્તાન અને હમાસ જેવી શક્તિઓને આકરો સંદેશ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "ન તો આપણે 26/11 ના મુંબઈ હુમલાને ભૂલ્યા છીએ, ન તો 7 ઓક્ટોબરના હમાસના ક્રૂર હુમલાને." મુંબઈ હુમલામાં ઇઝરાયલી નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા હતા તેનો ઉલ્લેખ કરી મોદીએ કહ્યું કે ભારત આ પીડાને સમજે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ બહાના હેઠળ નિર્દોષ નાગરિકોની હત્યાને વાજબી ઠેરવી શકાય નહીં. આતંકવાદ સામે લડવામાં ભારતના બેવડા ધોરણો નથી અને ભારત ઇઝરાયલ સાથે મજબૂતીથી ઉભું છે.
ભારતમાં યહૂદી સમુદાયનું સન્માન
પીએમ મોદીએ ભારતમાં વસતા યહૂદી સમુદાયના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. તેમણે ગર્વ સાથે જણાવ્યું કે સદીઓથી ભારતમાં યહૂદીઓ કોઈપણ ભેદભાવ કે અત્યાચાર વિના શાંતિપૂર્વક રહે છે. તેમણે પોતાના ધર્મ અને સંસ્કૃતિને જાળવી રાખીને ભારતીય સમાજના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. આ બાબત ભારતની વિવિધતામાં એકતા અને સહિષ્ણુતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ગાઝામાં શાંતિ અને સંવાદ માટે ભારતનું સમર્થન
વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ પર બોલતા પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા મંજૂર કરાયેલ ગાઝા શાંતિ પહેલને ટેકો જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે શાંતિનો માર્ગ ક્યારેય સરળ હોતો નથી, પરંતુ હિંમત અને માનવતાના આધારે જ સ્થાયી ઉકેલ લાવી શકાય છે. ભારત પેલેસ્ટિનિયન મુદ્દાના ઉચિત ઉકેલ સહિત સમગ્ર ક્ષેત્રમાં સ્થિરતા અને સંવાદનો પક્ષધર છે.
અંતમાં, પીએમ મોદીએ ફરી એકવાર ઇઝરાયલ સાથેના ભવિષ્યના સહયોગ અને સુરક્ષા ભાગીદારી પર ભાર મૂકીને પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું, જેને ઇઝરાયલી સાંસદોએ ઊભા થઈને વધાવ્યું હતું.
