નવી દિલ્હી: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા સવા બે મહિનાથી દિલ્હીમાં આંદોલન કરી રહ્યાં છે. તેની વચ્ચે આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે, સદનમાં ખેડૂત આંદોલન પર ચર્ચા થઈ. જે પણ બતાવામાં આવ્યું તે આંદોલનને લઇને કહેવામાં  આવ્યું પરંતુ મૂળ વાત પર ચર્ચા થઇ નહીં.


પીએમ મોદીએ કહ્યું, મહત્તમ સમય જે વાત થઈ તે આંદોલનને લગતી હતી. કઈ વાતને લઈ આંદોલન છે ? તેના પર સૌ મૌન છે, જે મૂળભૂત વાત છે. તેના પર પણ ચર્ચા થવી જોઈએ. તેમણે કહ્યું કે, આંદોલન પર રાજનીતિ હાવી થઈ રહી છે. વિપક્ષે આ મુદ્દે અચાનક યૂ-ટર્ન લઈ લીધો છે. પીએમ મોદીએ ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરી છે.

MSPને લઈને પીએમ મોદીએ કહ્યું કે, આપણે એક વખત જોવું જોઈએ કે કૃષિ પરિવર્તનથી બદલાવ આવે છે કે નહીં, કોઈ ખામી હોય તો તેને સુધારીશું. હું વિશ્વાસ અપાવું છું કે, માર્કેટને વધુ આધુનિક બનાવાશે. MSP છે, MSP હતું અને MSP રહેશે. આ સદનની પવિત્રતા આપણી સમજીએ. જે 80 કરોડ લોકોને સસ્તામાં રાશન આપવામાં આવે છે તે પણ સતત ચાલુ રહેશે.

વડાપ્રધાને કહ્યું કે, દરેક કાયદામાં સારા સૂચનો બાદ ફેરફાર થાય છે. તેથી સારું કરવા માટે સારા સૂચનો સાથે, સારા સુધારો કરવાની તૈયારી સાથે આપણે આગળ વધવું પડશે. હું આપ સૌને નિમંત્રણ આપું છું કે, આપણે દેશને આગળ લઈ જવા માટે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે આંદોલનકારીઓને સમજાવીને દેશને આગળ લઈ જવાનું છે.