નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયા સહિતના ત્રણ દેશોનો પ્રવાસ પૂર્ણ કરી ગુરુવારે વહેલી સવારે દિલ્હી પરત ફર્યા હતા. દિલ્હીના પાલમ એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુરુવારે સવારે PM મોદીના ભારત આગમન પર સ્વાગત કરવા દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી, પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન, દિલ્હીના સાંસદ રમેશ વિધૂડી, હંસ રાજ હંસ અને દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રામવીર સિંહ બિધૂડી પણ હાજર રહ્યા હતા.










દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે  હું વિશ્વના દેશોમાં જાઉં છું, વિશ્વના મહાન વ્યક્તિઓને મળું છું અને ભારતની ક્ષમતા વિશે વાત કરું છું. મારા દેશની મહાન સંસ્કૃતિનો મહિમા કરતી વખતે હું મારી આંખો નીચી રાખતો નથી. હું આંખોમાં આંખ નાખીને વાત વાત કરું છું.






વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ ક્ષમતા એટલા માટે છે કારણ કે તમે પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી છે. જ્યારે હું બોલું છું ત્યારે દુનિયાને લાગે છે કે 140 કરોડ લોકો બોલી રહ્યા છે. દેશ વિશે વાત કરવા માટે જે સમય હતો તેનો મેં ઉપયોગ કર્યો.






આ યશ હિંદુસ્તાનના પુરુષાર્થનો છેઃ પીએમ મોદી


પીએમ મોદીએ કહ્યું હતું કે  હું તમને પણ એ જ કહીશ કે ભારતની સંસ્કૃતિ અને મહાન પરંપરા વિશે વાત કરતી વખતે ક્યારેય ગુલામીની માનસિકતામાં ડૂબી ના જતા, હિંમતથી બોલજો. દુનિયા સાંભળવા આતુર છે. જ્યારે હું કહું છું કે આપણા તીર્થધામો પર હુમલા સ્વીકાર્ય નથી ત્યારે દુનિયા પણ મારી સાથે જોવા મળે છે.






ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોના કાર્યક્રમનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે  ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું કાર્યક્રમમાં આવવું એ ગર્વની વાત છે, પરંતુ ભારતીય સમુદાયના આ કાર્યક્રમમાં પૂર્વ વડાપ્રધાન પણ હાજર રહ્યા હતા, ત્યાંના સાંસદો પણ હાજર હતા. વિરોધ પક્ષના સાંસદો પણ હતા. આ યશ મોદીનો નથી. પરંતુ ભારતના પ્રયાસોની છે. તે 140 કરોડ ભારતીયોની ભાવના સાથે જોડાયેલી છે.






કોરોના વેક્સિનને લઈને વિપક્ષ પર સાધ્યુ નિશાન


આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની વેક્સીનને લઈને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. વડા પ્રધાને કહ્યું હતુ કે  અમને હિસાબ પૂછવામાં આવ્યો કે તમે વિદેશમાં રસી કેમ મોકલી. આ બુદ્ધ અને ગાંધીની ભૂમિ છે. પાપુઆ ન્યુ ગિનીના લોકો મારી ભાષા સમજી શક્યા નહીં, પરંતુ તેઓએ ઈશારો કરીને કહ્યું કે તમે જ્યારે રસી મોકલી ત્યારે જ અમે જીવિત છીએ. ત્યાંના લોકોની આંખમાં આંસુ હતા.






રાણી એલિઝાબેથે વેજ ફૂડ બનાવ્યું


આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રવાસ દરમિયાન મહારાણી એલિઝાબેથ સાથેની તેમની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. પીએમે કહ્યું કે યુકેની રાણીએ માતાની જેમ કહ્યું હતું કે તમારા માટે આ વેજ બનાવવામાં આવ્યું છે. તેમણે (એલિઝાબેથ)  રૂમાલ બતાવ્યો અને કહ્યું, જ્યારે મારા લગ્ન થયા ત્યારે તે મને ગાંધીજીએ આપ્યો હતો. પીએમએ કહ્યું, હું આ પ્રેમને ભૂલી શકતો નથી.


જેપી નડ્ડાએ વડાપ્રધાન મોદીના વખાણ કર્યા


આ પહેલા જેપી નડ્ડાએ પીએમ મોદીનું સ્વાગત કરતા કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને જે રીતે સિડનીમાં કહ્યું કે મોદીજી, તમે બોસ છો. તેમનું નિવેદન દર્શાવે છે કે ભારત પ્રત્યે વિશ્વનો દૃષ્ટિકોણ કેવી રીતે બદલાઈ ગયો છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન તમને મળવા માટે જ તેમના દેશમાંથી ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા.