અલાહાબાદ: પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે અલાહાબાદમાં યોજાયેલી રેલીથી ઉત્તરપ્રદેશ વિધાનસભાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી દીધી છે. ભાજપની બે દિવસીય કારોબારીની બેઠક પૂરી થયા બાદ તેમણે એક રેલીમાં રાજ્યની સમાજવાદી પક્ષની સરકાર અને બસપ પર નિશાન સાધ્યું હતું. તેમણે મુલાયમ સિંહ અને મયાવતી પર ભ્રષ્ટાચાર, ભાઇ-ભત્રીજાવાદ અને ગુંડાગીરીના આરોપ લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 2017માં ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણી થવાની છે.


પીએમ એ જણાવ્યું કે  જ્યારે માયાવતીજીની સરકાર હતી ત્યારે મુલાયમ સિંહની પાર્ટી કરપ્શનનો આરોપ લગાવતી હતી. પણ આ પાંચ વર્ષમાં મુલાયમજીની સરકારે કંઈ કર્યું? હાલ માયાવતી મુલાયમ પર ગંભીર આરોપો લગાવે છે. આગળના પાંચ વર્ષ જો માયાવતીને મળી ગયા તો તેઓ મુલાયમ સામે કોઈ એક્શન નહીં લે. આ તેમની જુગલબંધી છે. પાંચ વર્ષ અમારો અને તમારો વારો. યુપીમાં પાંચ-પાંચ વર્ષ લૂંટની ઠેકેદારી બંધ નહીં થાય ત્યાં સુધી કોઈનું ભલુ નહીં થાય.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી લોકસભાની ચૂંટણી વારાણસીથી લડ્યા હતા. આ વાતને ટાંકતા તેમણે રેલીમાં કહ્યું કે, ‘મને યુપીનો સાંસદ બનાવ્યો, મારે આ ઋણ ચુકાવવુ છે.એક વાર મોકો આપો. પાંચ વર્ષમાં કોઈ કામને લઈને તમારૂ નુકસાન કર્યું તો લાત મારીને બહાર કરી દેજો.યુપી આગળ વધી ગયુ તો દુનિયામાં હિંદુસ્તાન નંબર વન હશે.’

પીએમ મોદીએ આ રેલીમાં કોંગ્રેસ સામે પણ ભ્રષ્ટાચારના આરોપ મૂકતા કહ્યું હતું કે, હેલિકોપ્ટર્સ, એરક્રાફ્ટ, બંદૂકોની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો છે. રાંધણગેસની સબસિડીમાં પણ ભ્રષ્ટાચાર થતો હતો. જ્યારે ભાજપ સરકારના સમયમાં રાંધણગેસની સબસિડીમાં 15 હજાર કરોડ રૂપિયા બચાવવામાં આવ્યા છે.