નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘સ્વામિત્વ યોજના’નો પ્રારંભ કર્યો છે. 6 રાજ્યમાં 763 ગામમાં સ્વામિત્વ યોજના અંતર્ગત એક લાખ લોકોને તેમના ઘરનું પ્રોપર્ટી કાર્ડ વીડિયો કોન્ફરન્સની વિતરણ કર્યા. તમામ લાભાર્થીઓએ પોતાનું સ્વામિત્વ કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કર્યું.


યોજનાની શરુઆત કરતા પીએમ મોદીએ કહ્યું, ‘સ્વામિત્વ યોજના ગામમાં રહેતા મારા ભાઈ-બહેનોને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. હંમેશા કહેવામાં આવે છે કે, ભારતની આત્મા ગામડામાં વસે છે, પરંતુ એ સચ્ચાઈ છે કે, ભારતના ગામડાને તેમના હાલ પર જ છોડી દીધા છે.

પીએમ મોદીએ કહ્યું, “ દુનિયાના મોટા એક્સપર્ટ્સ આ વાત પર જોર આપતા રહ્યાં છે કે, જમીન અને ઘરના માલિકીનો હકની દેશના વિકાસમાં મોટી ભૂમિકા હોય છે. જ્યારે સંપત્તિનો રેકોર્ડ હોય છે, જ્યારે સંપત્તિ પર અધિકાર મળે છે ત્યારે નાગરિકોમાં આત્મવિશ્વાસ વધે છે. ”



પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું કે, ગામોમાં શૌચાલય, વિજળી, ચુલામાં રસોઈ કરવાની સમસ્યાઓ હતી. વર્ષો સુધી જે પક્ષની સત્તા હતી તેમાં વાતો તો ઘણી મોટી મોટી થઈ પરંતુ ગામડામાં રહેતા લોકોને તેમના નસીબના ભરોસે છોડી દેવામાં આવ્યા પરંતુ અમે આવું થવા દઈએ નહીં.

સ્વામિત્વ યોજનાનો ફાયદો 6 રાજ્યના 763 ગામોને થશે. જેમાં ઉત્તર પ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્યપ્રદેશના 44, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકના 2 ગામોનો સમાવેશ થાય છે.

પ્રોપર્ટી કાર્ડ કેમ જરૂરી છે ?

પીએમ મોદીએ કહ્યું, દુનિયામાં એક તૃતિયાંસ વસ્તી પાસે જ કાયદાકીય રીતે પોતાની સંપત્તિનો રેકોર્ડ છે, સમગ્ર દુનિયામાં બે તૃતિયાંશ લોકો પાસે નથી. એવામાં ભારત જેવા વિકાસશીલ દેશ માટે આ ખૂબજ જરૂરી છે કે, લોકો પાસે તેમની સંપત્તિના સાચા પૂરાવા રહે.