નવી દિલ્હીઃ કોરોના સંક્ટ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે સાંજે રાષ્ટ્રને સંબોધન કર્યુ હતુ. આ દરમિયાન તેમણે કોરોનાને લઈ કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવવાની સલાહ આપી હતી. ઉપરાંત કોરોનાની રસીને લઈ મોટી વાત કરી હતી.


પીએમ મોદીના સંબોધનના અંશો

- દો ગજ કી દૂરી, સમયાંતરે સાબુથી હાથ ધોવા અને માસ્કનું ધ્યાન રાખો.

- યાદ રાખો- જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલ નહીં. એક મુશ્કેલ સમયથી નીકળીને આપણે આગળ વધી રહ્યા છીએ, થોડી પણ બેદરકારી આપણી ગતિને અટકાવી શકે છે. જીવનની જવાબદારીઓ નિભાવવી અને સતર્કતા આ બંને સાથે સાથે ચાલશે ત્યારે જીવનમાં ખુશી બની રહેશે.

- કોરોનાની વેક્સીન જ્યારે પણ આપશે ત્યારે શક્ય તેટલી વહેલી દરેક ભારતીયના ઘર સુધી પહોંચે તે માટે સરકાર પણ તૈયારી કરી રહી છે. દરેક નાગરિક સુધી વેક્સીન પહોંચે તે માટે ઝડપથી કામ થઈ રહ્યું છે.

- વર્ષો બાદ આપણે જોઈ રહ્યા છીએ કે માનવતાને બચાવવા માટે યુદ્ધસ્તર પર કામ કરી રહ્યા છીએ. આપણા દેશના વૈજ્ઞાનિકો પણ વેક્સીન બનાવવામાં લાગ્યા છે. ભારતમાં હાલ અનેક વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. તેમાંથી કેટલીક એડવાન્સ સ્ટેજ પર છે.

- જ્યાં સુધી સફતળા ન મળી જાય ત્યાં સુધી બેદરકારી ન દાખવવી જોઈએ. જ્યાં સુધી આ મહામારીની વેક્સીન ન આવે ત્યાં સુધી કોરોના સામેની લડાઈ નબળી પડવા દેવાની નથી.
- હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર અનેક તસવીર, વીડિયો ફરી રહ્યા છે જેમાં લોકોએ સાવધાની રાખવાનું બંધ કર્યુ તેમ જણાયા છે. આ ઠીક નથી.





 - જો તમે બેદરકારી દાખવી રહ્યા છો, માસ્ક વગર બહાર નીકળી રહ્યા છો તમે તમારા પરિવારને, તમારા પરિવારના બાળકોને, વડીલોને સંકટમાં નાંખી રહ્યા છો.
- અમેરિકા હોય કે યૂરોપના અન્ય દેશો, આ દેશોમાં કોરોના મામલા ઘટી રહ્યા હતા પરંતુ અચાનક વધવા લાગ્યા છે.




 - આજે દેશમાં રિકવરી રેટ સારો છે, મૃત્યુદર ઘટી રહ્યો છે. કોવિડ મહામારી સામે લડાઈમાં ટેસ્ટની વધતી સંખ્યા આપણી એક મોટી તાકાત રહી છે.
- સેવા પરમો ધર્મના મંત્ર પર ચાલીને આપણા ડોક્ટર્સ, નર્સ, હેલ્થ વર્કર્સ સેવા કરી રહ્યા છે. તેમના પ્રયાસો વચ્ચે આ સમય બેદરકારી દાખવવાનો નથી. કોરોના જતો રહ્યો અને ફરી ખતરો નથી તેમ માની લેવાનો આ સમય નથી.

- આપણે ભૂલવું ન જોઈએ લોકડાઉન ભલે ચાલ્યું ગયું હોય, વાયરસ નથી ગયો. છેલ્લા 7-8 મહિનામાં દરેક ભારતીયના પ્રયાસથી સ્થિતિ કાબૂમાં છે તેને આપણે બગડવા દેવાની નથી.

- કોરોના સામેની લડાઈમાં જનતા કર્ફ્યુથી લઈ આજ સુધી ભારતવાસીઓ લાંબી સફર કરી છે.

 



કોરોના કાળમાં ક્યારે ક્યારે થયુ વડાપ્રધાન મોદીનુ સંબોધન...

19 માર્ચ 2020: 22 માર્ચે દેશમાં જનતા કર્ફ્યૂની જાહેરાત કરી, સાંજે 5 વાગે, 5 મિનીટે સ્વાસ્થ્ય કર્મીઓનો હોંસલો વધારવાનુ કહ્યુ.

24 માર્ચ 2020: 25 માર્ચે 21 દિવસ માટે દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી.

3 એપ્રિલ 2020: સવારે 9 વાગે વીડિયો સંદેશ શેર કર્યો, 5 એપ્રિલની રાત્રે 9 વાગે, ઘરની તમામ લાઇટો બંધ કરીને, 9 મિનીટ સુધી મીણબત્તી, દીવો કે ટોર્ચ કે મોબાઇલની ફ્લેશલાઇટ સળગાવવાની અપીલ કરી.

14 એપ્રિલ 2020: સવારે 10 વાગે પીએમ મોદીએ સંબોધિત કર્યા, અને લૉકડાઉન 3 મે સુધી લંબાવ્યુ.

12 મે- વડાપ્રધાન એકવાર ફરીથી જનતા સામે આવ્યા, આ વખતે વડાપ્રધાન મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ પેકેજની વિસ્તારથી જાણકારી નાણામંત્રી નિર્મલા સીતારમણ આપશે.

30 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ન યોજનાને 30 નવેમ્બર 2020 સુધી લંબાવી.