અમદાવાદઃ 'સવાયા ગુજરાતી' ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન થયું છે. નવેમ્બર 4, 1925ના રોજ સ્પેનના લોગ્રોનોમાં જન્મેલા ફાધર વાલેસે ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાને પોતાનો ભરપૂર પ્રેમ આપ્યો હતો. ધર્મે ખ્રિસ્તી પણ વાણી-વિચારમાં સાચા વૈષ્ણવજન હતા. 1960થી 1982 દરમિયાન અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક હતા.


ફાધર વાલેસના નિધન પર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. રૂપાણીએ ટ્વિટ કરીને લખ્યું, સવાયા ગુજરાતી” તરીકે જાણીતા ગુજરાતી સાહિત્યકાર કાર્લોસ જી. વાલેસ (ફાધર વાલેસ) ના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. ગુજરાતી સાહિત્યને તેમણે અનેક પુસ્તકો અને લેખો દ્વારા સમૃદ્ધ કર્યું હતું, ગુજરાતી સાહિત્ય જગતને તેમની ખોટ હંમેશા રહેશે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ બક્ષે.ૐ શાંતિ.



જ્યારે પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને લખ્યું, ફાધર વાલેસે ઘણા લોકો ખાસ કરીને ગુજરાતમાં વધારે પ્રેમ આપ્યો. તેમણે ગણિત અને ગુજરાતી સાહિત્ય જેવા વિવિધ ક્ષેત્રમાં પોતાની અલગ છાપ છોડી. તેમના નિધનથી દુખ અનુભવું છું.