PM Modi At Pragati Maidan: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલા વડાપ્રધાન મોદીએ ટનલનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પીએમએ કહ્યું કે, દાયકાઓ પહેલા પ્રગતિ મેદાન ભારતની પ્રગતિ, ભારતીયોની તાકાત, ભારતના ઉત્પાદનો, આપણી સંસ્કૃતિ દર્શાવવા માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ પ્રગતિ મેદાનની પ્રગતિ ઘણા સમય પહેલા જ અટકી ગઈ હતી. તેની યોજના કાગળ પર બતાવવામાં આવતી હતી, પરંતુ વાસ્તવમાં કાંઇ કરવામાં આવતું નહોતું. અગ્નિપથ વિવાદ વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે આ આજનું નવું ભારત છે. આ ભારત સમાધાન કરે છે. તેમણે કહ્યું કે નવું કામ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.






માત્ર ચિત્ર જ નહીં, ભાગ્ય પણ બદલાશેઃ વડાપ્રધાન


પીએમ મોદીએ પ્રગતિ મેદાનમાં કહ્યું હતું કે, આ ચિત્ર બદલવા માટે નથી કરવામાં આવી રહ્યું, પરંતુ તેનાથી ભાગ્ય પણ બદલી શકાય છે. દિલ્હીમાં કેન્દ્ર સરકાર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેનું સીધું પરિણામ અને તેની પાછળનો હેતુ Ease of Living છે. પીએમએ કહ્યું કે, છેલ્લા 8 વર્ષમાં અમે દિલ્હી-એનસીઆરની સમસ્યાઓના ઉકેલ માટે અભૂતપૂર્વ પગલાં લીધાં છે. છેલ્લા 8 વર્ષમાં દિલ્હી-NCRમાં મેટ્રો સેવાની રેન્જ 193 કિલોમીટરથી વધીને લગભગ 400 કિમી થઈ ગઈ છે. દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા મેટ્રો નેટવર્કને કારણે હવે હજારો વાહનો રસ્તાઓ પર ઓછા દોડી રહ્યા છે. આનાથી પ્રદૂષણ ઘટાડવામાં પણ ઘણી મદદ મળી છે. દિલ્હીને ઈસ્ટર્ન અને વેસ્ટર્ન પેરિફેરલની પણ મદદ મળી છે.






વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, શહેરી ગરીબોથી માંડીને શહેરી મધ્યમ વર્ગ સુધી દરેકને વધુ સારી સુવિધાઓ આપવા માટે કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. છેલ્લા 8 વર્ષમાં 1.70 કરોડથી વધુ શહેરી ગરીબોને પાકાં મકાનો આપવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. લાખો મધ્યમ વર્ગના પરિવારોને પણ તેમના ઘર માટે મદદ કરવામાં આવી છે.