નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે વડાપ્રધાન ઓફિસ પર એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, મેડિકલ ઇમરજન્સી માટે બનાવવામાં આવેલી એમ્પાવર્ડ કમિટીના ચેરમેન ડોક્ટર વી પાલ અને આઇસીએમઆરના ડીજી પણ હાજર રહ્યા હતા.


આ દરમિયાન વડાપ્રધાને રાજ્ય પ્રમાણે સમીક્ષા કરી હતી. જ્યાં સતત કોરોનાના  નવા કેસ સામે આવી રહ્યા છે. તેને લઇને અલગથી યોજના બનાવવા કહ્યું છે. વડાપ્રધાને દિલ્હીને લઇને ચિંતા વ્યક્ત કરતા ગૃહમંત્રી અમિત શાહને નિર્દેશ આપ્યા હતા કે ઇમરજન્સી બેઠક બોલાવીને એલજી અનિલ બૈજલ અને મુખ્યમંત્રી કેજરીવાલ સહિત એમસીડીના ત્રણેય મેયર અને સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરો અને દિલ્હીમાં કોવિડ-19ને રોકવા અને લોકોને સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટે સંયુક્ત યોજના તૈયાર કરવામાં આવે. બાદમાં અમિત શાહે ટ્વિટ કરીને આવતીકાલે યોજાનારી બેઠકોની જાણકારી આપી હતી.





વાસ્તવમાં દેશભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં સ્થિતિ દિવસે ને દિવસે ભયાનક થઇ રહી છે. બેઠકમાં ડોક્ટર વી પાલને પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેમાં દર્દીઓની સંભવિત સંખ્યા, હોસ્પિટલોમાં રહેલા બેડ અને વેન્ટિલેટર પર ચર્ચા કરવામાં આવી. વડાપ્રધાને રાજ્ય પ્રમાણે ઇમરજન્સી યોજના તૈયાર કરવાના આદેશ આપ્યા હતા.