નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેવા પહોંચ્યા હતા. ભાજપ અને એનડીએના સાંસદોએ 'મોદી-મોદી'ના નારા સાથે ગૃહમાં પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સરકારે ખોટા નારા નથી આપ્યા, સાચા અર્થમાં ગરીબોની સેવા કરી છે. પાંચ દાયકા સુધી ખોટા નારા આપવામાં આવ્યા. મિડલ ક્લાસના સપનાઓ એ રીતે સમજાતા નથી.
લોકસભામાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મારા માટે સૌભાગ્યની વાત છે કે જનતાએ મને 14મી વખત તેમનો આભાર માનવાની તક આપી છે. આપણે 2025માં છીએ, એક રીતે 21મી સદીના 25 ટકા વીતી ગયા છે. 20મી સદીમાં આઝાદી પછી શું થયું અને 21મી સદીના 25 વર્ષમાં શું થયું તે સમય નક્કી કરશે. પરંતુ રાષ્ટ્રપતિના સંબોધનમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે તેમણે દેશની સામે ભવિષ્યના 25 વર્ષ અને વિકસિત ભારત માટે નવો વિશ્વાસ જગાવવા રાષ્ટ્રપતિનું સંબોધન વિકસિત ભારતને લઈ લોકોને પ્રેરિત કરનારું છે.
25 કરોડ દેશવાસીઓ ગરીબીમાંથી બહાર આવ્યા
પીએમ મોદીએ કહ્યું, "રાષ્ટ્રપતિનું સંબોધન સામાન્ય લોકોને વિકસિત ભારત વિશે પ્રેરિત કરવા જઈ રહ્યું છે. 25 કરોડ દેશવાસીઓ ગરીબીમાંથી બહાર આવ્યા છે. 5 દાયકાથી આપણે ગરીબી દૂર કરવાના નારા સાંભળ્યા હતા અને હવે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, આ એમ જ નથી બન્યું , સંપૂર્ણ સંવેદનશીલતા સાથે અને આયોજનબદ્ધ રીતે સમય પસાર કરીને જ બન્યું છે."
રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કેટલાક નેતાઓનું ધ્યાન તેમના ઘરના સ્ટાઇલિશ બાથરૂમ પર છે. અમારું ધ્યાન દરેક ઘરમાં નળનું પાણી પહોંચાડવા પર છે. 12 કરોડ લોકોને નળનું પાણી આપ્યું. અમારું ધ્યાન ગરીબો માટે ઘર બનાવવા પર છે. ગરીબોની ઝૂંપડીમાં ફોટો સેશન ગોઠવનારાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે. તમે સમસ્યાને ઓળખીને તેની અવગણના કરી શકતા નથી. સમસ્યાનો પણ ઉકેલ લાવવો પડશે. અમારો પ્રયાસ સમસ્યાનો ઉકેલ લાવવાનો છે અને અમે સમર્પણ સાથે પ્રયાસ કરીએ છીએ.
10 કરોડ નકલી લોકો સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા હતા
કોંગ્રેસ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રી કહ્યું કે, "જ્યારે તાવ ચઢે છે ત્યારે લોકો કંઈ પણ બોલે છે. પરંતુ સાથે સાથે જ્યારે નિરાશા અને હતાશા ફેલાય છે, ત્યારે લોકો કંઈ પણ બોલે છે. જેઓ ભારતમાં જન્મ્યા નથી. આવા 10 કરોડ નકલી લોકો સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા હતા. રાજકીય લાભની પરવા કર્યા વિના અમે 10 કરોડ લોકોના નામ કાઢી નાખ્યા અને વાસ્તવિક લાભાર્થીઓની ઓળખ કરી લાભ તેમના સુધી પહોંચાડ્યો.
અમારા સ્વચ્છતા અભિયાનની મજાક ઉડાવવામાં આવી. માત્ર સરકારી કચેરીઓમાંથી જે ભંગાર વેચવામાં આવ્યો તેનાથી સરકારને 2300 કરોડ રૂપિયા મળ્યા છે. તાજેતરના વર્ષોમાં, ફક્ત સરકારી કચેરીઓમાંથી કચરો વેચાયો હતો અને 2,300 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા. સ્વચ્છ ભારત અભિયાનમાંથી ભંગાર વેચીને 2300 કરોડ રૂપિયાની કમાણી થઈ રહી છે.
ઈનકમ ટેક્સ પર બોલ્યા પ્રધાનમંત્રી મોદી
2014 પહેલા માત્ર 2 લાખ રૂપિયા પર જ આવકવેરામાંથી મુક્તિ મળતી હતી. અમે 12 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરી છે. અમે સતત આમ કરતા રહ્યા. 1લી એપ્રિલ પછી દેશમાં નોકરિયાત લોકોએ 12.75 લાખ રૂપિયા સુધી કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં.