કુશીનગરઃ કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 106 વર્ષના ભાજપના નેતા અને જનસંઘની ટિકિટ પરથી 1977માં નૌરંગિયાથી ધારાસભ્ય રહી ચુકેલા નારાયણ ઉર્ફે ભુલઈ ભાઈ સાથે વાત કરીને તેમના આશીર્વાદ લીધા હતા. નારાયણ ભાઈ પાસે આજે પણ ફોન નથી. તેમના પૌત્ર કન્હૈયા ચૌધરીના મોબાઈલ પર ફોન આવ્યો અને પરંતુ નંબર દેખાતો નહોતો.


ફોન રિસીવ કર્યા બાદ ખબર પડી કે દિલ્હીથી આવ્યો છે. જેમાં તેમને સાંભળવા મળ્યું કે, અમે પ્રધાનમંત્રી કાર્યાલયથી વાત કરી રહ્યા છીએ, શું નારાયણજી સાથે વાત થઈ શકશે ? કન્હૈયા ચૌધરીએ કહ્યું કે, થઈ શકશે. જે બાદ પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીએ પૂછયું કે તમે કોણ બોલી રહ્યા છો ? કન્હૈયા ચૌધરીએ તેમની ઓળખ આપી. બાદમાં અવાજ આવ્યો કે પ્લીઝ ભુલઈ ભાઈને ફોન આપો, હું પીએમ સાહેબને આપી રહ્યો છું. જે બાદ ભુલઈ ભાઈને ફોન આપવામાં આવ્યો. જ્યારે તેમને જણાવાયું કે સામે પ્રધાનમંત્રી મોદી છે તો ભુલઈ ભાઈની ખુશીનો પાર ન રહ્યો.

ભુલઈ ભાઈ ફોન પર આવતા જ સામેથી પીએમ મોદીએ તેમને પ્રણામ કરીને હાલ ચાલ પૂછ્યા. મોદીએ કહ્યું, અનેક વર્ષોથી તમારી સાથે મુલાકાત થઈ નથી. આજે મન થયું કે વાત કરું અને સંકટ કાળમાં આશીર્વાદ લઉં. તમે તો શતાબ્દી પૂરી કરી દીધી. તો ભુલાઈ ભાઈએ કહ્યું 106 વર્ષ થઈ ગયા. જે બાદ પીએમ મોદીએ કહ્યું તમે તો પાંચ પેઢી જોઈ હશે.

ભુલઈ ભાઈએ તેમની તંદુરસ્તી સારી હોવાનું કહી પ્રધાનમંત્રીની પ્રશંસા કરી કહ્યું તમારી કૃપાથી બધુ સારું ચાલી રહ્યું ચે. જે બાદ પ્રધાનમંત્રીએ કહ્યું, બસ તમારા આશીર્વાદ છે. સારું કરું, તમારી પાસેથી જે શીખ્યું છે તે દેશના કામમાં આવે. પ્રધાનમંત્રીએ ભુલઈ ભાઈના પરિવારના તમામ સભ્યોને પ્રણામ કર્યા હતા.

નારાયણ ઉર્ફે ભુલઈ ભાઈ જનસંઘના સમયથી ભાજપ સાથે સંકળાયેલા છે. તેઓ 1974થી 1977 અને 1977થી 1980 સુધી કુશીનગરની નેબુઆ નૌરંગિયા સીટથી જનસંઘના ધારાસભ્ય રહ્યા છે. કટોકટીના સમયમાં તેઓ અનેક મહિના સુધી જેલમાં રહ્યા છે. તેમની છબી એક ઈમાનદાર નેતા તરીકેની છે.