નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના થાઇલેન્ડ પ્રવાસ પર રવાના થયા છે. વડાપ્રધાન મોદી ચાર નવેમ્બર સુધી થાઇલેન્ડમા રહેશે. જ્યાં તેઓ આસિયાન-ઇન્ડિયા, પૂર્વી એશિયા, અને આરસીઇસી સંમેલનમાં ભાગ લેશે. પોતાના પ્રવાસના પ્રથમ દિવસે વડાપ્રધાન થાઇલેન્ડમાં રહેનારા ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે અને ગુરુ નાનક દેવની 550મી જન્મજયંતિના અવસર પર સ્મારક સિક્કા પણ લોન્ચ કરશે. આ સાથે જ તે તમિલ ક્લાસિક તિરુક્કુરલનો થાઇ અનુવાદ જાહેર કરશે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી હતી.


વડાપ્રધાન મોદી થાઇલેન્ડના વડાપ્રધાન પ્રયુત ચાન-ઓ-ચા સાથે 16મા આસિયાન-ઇન્ડિયા શિખર સંમેલનની સહ-અધ્યક્ષતા કરશે. થાઇલેન્ડના વડાપ્રધાને મોદીને બેંગકોક આવવાનું આમંત્રણ આપ્યું છે. વિદેશ મંત્રાલયના મતે વડાપ્રધાન મોદી 16મા આસિયાન-ઇન્ડિયા સંમેલન, 14મા આસિયાન એશિયા સંમેલન અને ત્રીજા ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી સંમેલન સહિત સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે. બેંગકોકમાં આરસીઇપી સાથે સંબંધિત પેન્ડિગ મુદ્દાઓને ઉકેલવા પર વાતચીત ચાલી રહી છે.

આરસીઇપીમાં આસિયાનના 10 સભ્ય દેશ (બ્રુનેઇ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર, સિંગાપોર, થાઇલેન્ડ, ફિલિપિન્સ, લાઓસ તથા વિયેતનામ) તથા એફટીએના ભાગીદાર ભારત, ચીન, જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામેલ છે.