નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસના અત્યાર સુધી 7થી વધુ કેસો નોંધાઇ ચૂક્યા છે, અને 70થી વધુ લોકો મોતને ભેટ્યા છે. પણ આ આંકડાઓ પર હવે રાજકીય બબાલ શરૂ થઇ ગઇ છે. બીજેપીએ આરોપ લગાવ્યો છે કે દિલ્હી સરકાર કોરોનાથી મોતના આંકડાઓ છુપાવી રહી છે. દિલ્હી સરકારે આને ખોટુ ગણાવતા બેદરકારીનુ ઠીકરુ હૉસ્પીટલ પર ફોડ્યુ છે. કોરોના સામેની લડાઇમાં દિલ્હી સરકાર પર બીજેપીએ સવાલ ઉઠાવ્યા છે, બીજેપીનો આરોપ છે કે કેજરીવાલ સરકાર મોતના આંકડા છુપાવી રહી છે. બીજેપી હૉસ્પીટલના આંકડા અને રાજ્ય સરકારના આંકડાઓમાં અંતર હોવાનો દાવો કરી રહી છે. પૂર્વીય દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે ટ્વીટ કર્યુ કે તમે મૃતદેહો છુપાવી શકો છો પણ સત્ય નહીં.
આખા વિવાદ પર દિલ્હી સરકારની દલીલ છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનુ કહેવુ છે કે મૃત વ્યક્તિને લઇને કેટલીય હૉસ્પીટલ પુરેપુરી જાણકારી નથી આપી રહી. આ પછી બધી હૉસ્પીટલો માટે નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. દિલ્હી સરકારનો નવો આદેશ - મોતના કારણની પુરેપુરી માહિતી સરકારને મોકલવામાં આવે - મોતના આંકડાઓ પર ઓસઓપીનુ પાલન થાય - રિપોર્ટ મોકલવામાં મોડુ ના કરવામાં આવે - હૉસ્પીટલ દરરોજ સાંજે 5 વાગ્યા સુધી રિપોર્ટ મોકલે