નવી દિલ્હીઃ કોગ્રેસના મોટા ચહેરા રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા બુધવારે ભારતીય જનતા પાર્ટીમાં સામલે થઇ ગયા છે. સિંધિયા ભાજપમાં સામેલ થવાના કારણે કોગ્રેસમાં હલચલ તો છે પરંતુ ભાજપમાં પણ નારાજગીના સૂર ઉઠ્યા છે. એક રિપોર્ટ અનુસાર, ભાજપના મોટા નેતા પ્રભાત ઝા આ નિર્ણયથી નારાજ છે અને તેમણે આ અંગે ભાજપ હાઇકમાન્ડ સમક્ષ નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.


નોંધનીય છે કે પ્રભાત ઝા ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષના પદ પર છે. પરંતુ છેલ્લા લાંબા દિવસથી પાર્ટીમાં સાઇડલાઇન ચાલી રહ્યા છે. આ કારણથી છેલ્લા કેટલાક સમયમાં તેમની નારાજગી અનેકવાર સામે આવી છે.
છેલ્લા વર્ષે જ્યારે લોકસભા ચૂંટણી યોજાઇ ત્યારે પ્રભાત ઝાને પુરી રીતે સાઇડલાઇન કરવામાં આવ્યા હતા. પ્રચાર હોય કે રણનીતિ બનાવવાની હોય તેઓને દૂર રાખવામાં આવ્યા હતા. આ અગાઉ પણ અનેકવાર પ્રભાત ઝા મધ્ય પ્રદેશમાં સિંધિયા પરિવાર વિરુદ્ધ મોરચો ખોલી ચૂક્યા છે. પ્રભાત ઝાની ગણતરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નજીકના નેતાઓમાં થાય છે.

પ્રભાત ઝા પૂર્વમાં ભાજપની મધ્યપ્રદેશ યુનિટના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. પરંતુ 2012માં તેઓ પદ પરથી હટી ગયા હતા. બાદમાં તેઓ રાજ્યસભામાં પહોંચ્યા પરંતુ એપ્રિલમાં તેમનો કાર્યકાળ ખત્મ થઇ રહ્યો છે એવામાં સંકેત મળી રહ્યા છે કે પાર્ટી તેમને ફરીવાર રાજ્યસભામાં નહી મોકલે.