નવી દિલ્હી: ભારતનાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને 8 ઓગસ્ટે રાષ્ટ્રપતિના હાથે ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવશે. પ્રણવ મુખર્જી જૂલાઈ 2012થી જૂલાઈ 2017ના સમયગાળા દરમ્યાન દેશનાં રાષ્ટ્રપતિ રહ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ પહેલા નાણામંત્રાલય, રક્ષા મંત્રાલય અને વિદેશ મંત્રાલય જેવાં મહત્વનાં મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી.


પ્રણવ મુખર્જી ભારતના 13માં રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે. તેઓ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પણ રહ્યા છે. પ્રણવ મુખર્જીએ 25 જુલાઈ 2012ના ભારતના 13માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. પ્રણવ મુખર્જીને વર્ષ 2008 દરમિયાન સાર્વજનિક મામલાઓમાં તેમના યોગદાન બદલ ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ પણ આપવામાં આવ્યો છે.

કેંદ્રની મોદી સરકારે 25 જાન્યુઆરી 2019ની સાંજે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.