રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ સ્વાધીનતા દિવસ ભારત માતાની તમામ સંતાનો માટે ખૂબ ખુશીનો દિવસ છે. આજના દિવસે આપણને તમામને દેશપ્રેમની ભાવનાનો અનુભવ થાય છે. આ અવસર પર આપણે એ તમામ સ્વતંત્રતા સેનાનીઓ અને કાંતિકારીઓને કૃતજ્ઞતા સાથે યાદ કરીએ છીએ.
સંસદના ચોમાસુ સત્રમાં બંન્ને ગૃહોમાં રેકોર્ડ કામની રાષ્ટ્રપતિએ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, મને એ વાતની ખુશી છે કે સંસદના તાજેતરમાં જ સંપન્ન થયેલા લોકસભા અને રાજ્યસભાની બેઠકો સફળ રહી છે. રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સહયોગ મારફતે અનેક મહત્વપૂર્ણ બિલ પસાર કરવામાં આવ્યા છે. આ સફળ શરૂઆતથી મને વિશ્વાસ છે કે આવનારા પાંચ વર્ષો દરમિયાન સંસદ આ પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરતી રહેશે. મતદાતાઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચે, નાગરિકો અને સરકારો વચ્ચે તથા સિવિલ સોસાયટી અને વહીવટીતંત્ર વચ્ચે આદર્શ ભાગીદારીથી રાષ્ટ્ર નિર્માણ આપણુ અભિયાન વધુ મજબૂત થશે.
તેમણે કહ્યું કે, દેશવાસીઓના જીવનને સારુ બનાવવા માટે સરકાર અનેક પાયાની સુવિધાઓ પ્રદાન કરી રહી છે. ગરીબથી ગરીબ લોકો માટે ઘર બનાવવા, તમામ ઘરમાં વિજળી, શૌચાલય તથા પાણીની સુવિધા આપી, સરકાર માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવી રહી છે. તમામ નાગરિકોના ઘરમાં નળ મારફતે પીવાનું પાણી પહોંચાડવા, ખેડૂતોને સિંચાઇની સુવિધા આપવા જળશક્તિથી વિશેષ બળ આપવામાં આવી રહ્યું છે. રેલવેને સુરક્ષિત અને સુવિધાજનક બનાવવામાં આવી રહી છે. નાના શહેરોને હવાઇ યાત્રાની સુવિધાથી જોડવામાં આવી રહ્યા છે. સાથે હોસ્પિટલો, શિક્ષણ સંસ્થાઓ, એરપોર્ટ્સ, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશન અને પોર્ટને આધુનિક બનાવવામં આવી રહ્યા છે.