નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિએ દેશને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે 71માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા પર, હું દેશ અને વિદેશમાં વસતા, ભારતના તમામ લોકોને હાર્દિક શુભકામનાઓ આપું છું. તેઓએ કહ્યું કે આપણા બંધારણે આપણને એક સ્વાધીન લોકતંત્રના નાગરિક તરીકે કેટલાક અધિકારો આપ્યા છે, પરંતુ બંધારણ અંતર્ગત આપણે બધાએ આ જવાબદારી પણ લીધી છે કે આપણે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા તથા ભાઈચારાના મૂળભૂત લોકતાંત્રિક આદર્શો પ્રત્યે હંમેશા પ્રતિબદ્ધ રહીએ.


રાષ્ટ્રપતિએ કહ્યું કે, “જન-કલ્યાણ માટે સરકારે અનેક અભિયાનો ચલાવ્યા છે. જનતાની ભાગીદારીના કારણે ‘સ્વચ્છ ભારત’ અભિયાને ખૂબજ ઓછા સમયમાં પ્રભાવશાળી સફળતા મેળવી છે. ભાગીદારીની આ ભાવના અન્ય ક્ષેત્રોમાં પણ કરવામાં આવી રહેલા પ્રયત્નોમાં જોવા મળી રહી છે. પછી તે રસોઈ ગેસની સબ્સિડી છોડવાની હોય કે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું.”

રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમે દેશના દરેક ભાગના સંપૂર્ણ વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. દેશના વિકાસ માટે એક મજબૂત આંતરિક સુરક્ષા વ્યવસ્થા પણ જરૂરી છે. તેથી સરકારે આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવા માટે ઘણા નક્કર પગલા લીધાં છે. તેઓએ કહ્યું, શિક્ષણ ક્ષેત્રે આપણી અનેક ઉપલબ્ધિઓ ઉલ્લેખનીય છે. અમારો પ્રયત્ન છે કે દેશનું દરેક બાળક અથવા યુવાન, શિક્ષણની સુવિધાની વંચિત ન રહે.

રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું, કોઈ પણ ઉદ્દેશ્ય માટે સંઘર્ષ કરનારા લોકો, ખાસ કરીને યુવાનો, ગાંધીજીના અહિંસાના મંત્રને હંમેશા યાદ રાખવું જોઈએ. જે માનવતાનું અમૂલ્ય ઉપહાર છે. રાષ્ટ્ર નિર્માણ માટે મહાત્મા ગાંધીના વિચાર આજે પણ સંપૂર્ણ રીતે પ્રાસંગિક છે. સત્ય અને અહિંસાનો તેમનો સંદેશ આજના સમયે વધુ જરૂરી બની ગયો છે. વિકાસ પથ પર આગળ વધતા, આપણો દેશ અને આપણે બધા દેશવાસી, વિશ્વ સમુદાય સાથે સહયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે, જેથી આપણું અને સમગ્ર માનવતાનું ભવિષ્ય સુરક્ષિત રહે અને સમૃદ્ધિશાળી બને.