નવી દિલ્હી: નિર્ભયા રેપ કેસમાં દોષિત મુકેશ અને વિનય શર્માની દયા અરજી નામંજૂર કર્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે દોષિત અક્ષય ઠાકુરની પણ દયા અરજી ફગાવી દીધી છે. રાષ્ટ્રપતિ ત્રણ દોષિતોની દયા અરજી ફગાવી ચુક્યા છે. જ્યારે ચોથો દોષિત પવન ગુપ્તાએ દયા અરજી કરી નહોતી.


નિર્ભયાના દોષિતોને જલદી ફાંસી આપવાની માંગ કરતી કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસની અરજીને ફગાવતા દિલ્હી હાઇકોર્ટે બુધવારે કહ્યું હતું કે, તમામ દોષિતોને એક સાથે ફાંસી થશે. કોર્ટે નિર્ભયાના તમામ દોષિતોને સાત દિવસની અંદર તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરવાની ડેડલાઇન આપી હતી.

નોંધનીય છે કે કેસના દોષિતોના ડેથ વોરંટને બે વખત ટાળવામાં આવ્યું છે. દોષિતો અલગ અલગ રીતે કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરી સતત ડેથ વોરંટ ટાળવામાં સફળ થઇ રહ્યા છે પરંતુ હવે હાઇકોર્ટે તેમને સાત દિવસની અંદર જ તમામ વૈકલ્પિક ઉપાયોનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે. દિલ્હી હાઇકોર્ટે દોષિતોને ફાંસીમાં મોટુ થવાને લઇને ઓથોરિટીને ફટકાર લગાવી છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ કે એક સપ્તાહ બાદ ડેથ વોરંટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.