લખનઉઃ અયોધ્યામાં પાંચ ઓગસ્ટથી ભવ્ય રામ મંદિરનો પાયો નંખાવા જઈ રહ્યો છે. પીએમ મોદી 40 કિલો ચાંદીની ઇંટની સાથે રામ મંદિરની આધારશિલા રાખશે. અહેવાલ છે કે રામ મંદિરના શિલાન્યાસ પહેલા રામ મંદિર ભૂમૂ પૂજનનું મુહૂર્ત જણાવનાર પુજારીને કર્ણાટકના બેલગાવીમાં ધમકી મળી છે. આ મામલે બેલાગવીના તિલકવાડી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.


75 વર્ષના પુજારીને મળી ધમકી

બેલગાવી પોલીસે જણાવ્યું કે, રામ મંદિરના ભૂમિ પૂજનનું મુહૂર્ત બતાવનાર 75 વર્ષના પુજારી વિજયેન્દ્રને ફોન પર ધમકી મળી છે. ધમકીને લઈને કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ આગળની તપાસ કરી રહી છે.

પુજારી વિજયેન્દ્રએ કહ્યું કે, ‘ધમકી આપનારે ફોન પર કહ્યું કે, તમે મુહૂર્તની તારીખ કેમ જણાવી? તમે તેમાં કેમ જોડાઈ રહ્યા છો? તેના પર મેં કહ્યું કે, આયોજકોએ મને ભૂમિ પૂજનની તારીખ જણાવવા માટે આગ્રહ કર્યો હતો અને મેં તેનું પાલન કર્યું. ધમકી આપનારે પોતાનું નામ ન જણાવ્યું. પહેલા પણ અનેક જગ્યાએથી ફોન આવી રહ્યા છે. જોકે, મેં આજ સુધી તેને ગંભીરતાથી લીધા ન હતા.’

પોલીસે પુજારીને આપી સુરક્ષા

પુજારી વિજયેન્દ્રને ધમકી મળ્યા બાદ બેલગાવીના શાસ્ત્રી નગરમાં પુજારીના આવાસ પર પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે, કોલ કરનારે પુજારીને મુહૂર્તની વાતને પરત લેવા માટે કહ્યું હતું. જણાવીએ કે,  વિજયેન્દ્ર છેલ્લા ઘણાં વર્ષોથી રામ મંદિર આંદોલન સાથે જોડાયેલ રહ્યા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં આયોજકોએ મુહૂર્ત કાઢવા માટે તેમનો સંપર્ક કર્યો હતો.