નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં બજેટ સત્રના અંતિમ દિવસે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે ત્રણ દશકા પછી અમે પૂર્ણ બહુમતવાળી સરકાર બનાવી હતી. આઝાદી પછી પહેલી વખત કોંગ્રેસના ગોત્રવાળી સરકાર બની હતી. કોંગ્રેસનું ગોત્ર નથી એવી પહેલી ગઠબંધનવાળી સરકાર અટલજીની હતી અને પૂર્ણ બહુમતવાળી સરકાર 2014માં બની હતી.
વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આંખ મારવાના કૃત્ય પર કટાક્ષ કરતા કહ્યું હતું કે મને પહેલીવાર ખબર પડી કે ગળે મળવું અને ગળે પડવુંમાં શું ફેર હોય છે. રાહુલ ગાંધીના ભૂકંપ વાળા નિવેદન પર કહ્યું કે, સરકારને 5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે પણ કોઈ ભૂકંપ આવ્યો નથી આવ્યો. જે કાયદા ક્યારેય બન્યા નથી તે અમારી સરકારે બનાવ્યા છે.


16મી લોકસભામાં પીએમ મોદીએ પોતાના અંતિમ ભાષણમાં કહ્યું હતું કે બહુમતની સરકારને દુનિયામાં એક અલગ ઓળખ મળે છે. વિશ્વમાં ભારતની બહુમતની સરકારના પ્રયાસોની પ્રશંસા થઇ છે ને તેનો શ્રેય દેશની સવા સૌ કરોડ દેશવાસીઓને જાય છે.

પીએમ મોદીએ કહ્યું કે મેક ઇન ઇન્ડિયાથી ભારત આત્મનિર્ભર બન્યું છે અને હજું પણ ઘણું બધુ કરવાનું બાકી છે. તેના માટે શ્રી મુલાયમ સિંહ યાદવે આર્શીવાદ આપ્યા જ છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા મુલાયમ સિંહ યાદવે પીએમ નરેન્દ્ર મોદીને લઈ લોકસભામાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી ફરી એક વખત વડાપ્રધાન બને.
પીએમ મોદીએ કહ્યું કે પાંચ વર્ષમાં અમારી સરકારે કાળા નાણા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે પણ પગલા લેવા જોઈએ તેના માટે સર્વોત્તમ પગલા લીધા છે. તેના માટે આ સદનને અને સરકારના સદસ્યોને શુભેચ્છા. આ લોકસભાના કાર્યકાળમાં 219 બીલ રજુ કરવામાં આવ્યા અને 2013 બીલ પાસ થયા છે.