બિકાનેર: જમ્મુ-કાશ્મીરના પુલવામાના પિંગલિના વિસ્તારમાં જવાનો અને આતંકીઓ વચ્ચે સોમવારે થયેલ અથડામણમાં મેજર સહિત કુલ પાંચ જવાન શહીદ થયા હતાં. શહીદોમાં રાજસ્થાનના રહેવાસી એસ.રામનું નામ પણ સામેલ હતું.




ત્યારે બીજીબાજુ પુલવામા હુમલા બાદ રાજસ્થાનમાં બિકાનેરના જિલ્લાધિકારી કુમાર પાળ ગૌતમે આદેશોની એક યાદી રજૂ કરી છે જેમાં આઈપીસીની કલમ 144ની અંતર્ગત તરત લાગૂ કરી દેવામાં આવી છે. તેમણે આદેશ આપ્યો છે કે, પાકિસ્તાની નાગરિક 48 કલાકની અંદર જિલ્લો છોડી દે.



તેની સાથે જ ડીએમ એ બિકાનેરના સરહદ વિસ્તારમાં બનેલી હોટલોમાં પાકિસ્તાની નાગરિકોને આશરો આપવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ આદેશ બે મહિના માટે લાગૂ કરી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. આ ઘટના બાદ દેશભરમાં પાકિસ્તાનને લઈ રોષ ફાટી નીકળ્યો છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ એ લીધી છે.