જમ્મુ કાશ્મીર: જમ્મુ કાશ્મીરના પુલવામાં આજે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે. દુખની વાત એ છે કે, આ ઓપરેશનમાં સેનાનો એક જવાન શહીદ થઈ ગયો છે. માર્યા ગયેલા આતંકીની હજુ ઓળખ થઈ નથી.


પ્રાપ્ત જાણકારી અનુસાર, ઓપરેશન દરમિયાન જવાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. જેને સેનાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું મોત થયું હતું.

ભારતીય સેનાની ચિનાર કોર્પ્સના નિવેદનમાં કહ્યું કે, “પુલવામામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થઈ ગયો છે. ગ્રેનેડ, એકે 47 જેવા અન્ય હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે.”

અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળો પુલવામાના કામરાજીપોરા ગામના એક બાગમાં આતંકવાદીઓ છુપાયા હોવાની સૂચના મળી હતી, જેના બાદ તે વિસ્તારમાં વહેલી સવારે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. તે દરમિયાન આતંકીઓ ફાયરિંગ શરુ કરી દીધું હતું. જેના બાદ સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ અથડામણમાં બે જવાન ઈજાગ્રસ્ત થયા છે.