નવી દિલ્હીઃ રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દેશની રાજનીતિમાં ગરમાવો વધી ગયો છે. કેન્દ્રની મોદી સરકાર કોર્ટના નિર્ણય બાદ કોગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કરી રહી છે ત્યારે સમાજવાદી પાર્ટીનું કહેવું છે કે રાફેલ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય તેમને મંજૂર છે.સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું હતું કે, રાફેલ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય અંતિમ છે. તેના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. પરંતુ હજુ પણ કોઇને લાગે છે તો તેમણે સુપ્રીમ કોર્ટમાં પોતાની વાત રજૂ કરવી જોઇએ.


રાફેલ ડીલ મામલામાં કોગ્રેસની સંયુક્ત સંસદીય સમિતિ બનાવવાની માંગ પર અખિલેશ યાદવે કહ્યું કે, હવે અમે જેપીસીની માંગ કરી રહ્યા નથી. આ માંગ ત્યારે આવી હતી જ્યારે કેસ સુપ્રીમ કોર્ટમાં આવ્યો નહોતો. બીજી તરફ રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યા બાદ પીએસીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે એવો કોઇ રિપોર્ટ તેમની સામે આવ્યો નથી. હું પીએસીના તમામ સભ્યોને અનુરોધ કરું છું કે તેઓ એર્ટોની જનરલ અને સીએજીને એ પૂછવા માટે બોલાવે કે રાફેલ ડીલ પર સીએજીનો રિપોર્ટ સંસદમાં કયારે રજૂ કરવામાં આવ્યો.

ખડગેએ કહ્યું કે, સરકારે રાફેલ ડીલ પર સીએજી રિપોર્ટ અંગે ખોટી માહીતી રજૂ કરીને સુપ્રીમ કોર્ટને ગુમરાહ કરવા બદલ માફી માંગવી જોઇએ. અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ પરંતુ આ તપાસ એજન્સી નથી. ફક્ત જેપીસી રાફેલ ડીલની તપાસ કરી શકે છે.