કોલકાતાઃ કોંગ્રેસે રાફેલ ડીલને લઈ મોદી સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે શનિવારે કહ્યું કે, 'આ એક ગંભીર મુદ્દો છે. તેના તમામ પાસાઓ પર ચર્ચા થવી જોઈએ. તેથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ મુદ્દો ઉઠાવી રહ્યા છે.'


કોલકાતામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ચિદમ્બરમે કહ્યું કે, 'યુપીએ સરકાર દરમિયાન રાફેલને લઈ એક ડીલ કરવામાં આવી હતી. જે અંતર્ગત આ સોદો 526 કરોડ રૂપિયામાં નક્કી થયો હતો. અમે ફ્રાન્સ સાથે 126 વિમાનોનો કરોર કર્યો હતો. જે અંતર્ગત ફ્રાન્સ 18 વિમાનો ઉપલબ્ધ કરાવવાનું હતું, જ્યારે બાકીના વિમાનનું નિર્માણ ભારતમાં થનારું હતું. યુપીએ સરકારના કરાર મુજબ 36 વિમાનોનું બજેટ 18940 કરોડ રૂપિયા થાત.'

'મોદી સરકારે રાફેલને લઈ ફ્રાન્સ સાથે જે સમજૂતી કરી છે તેનો ખુલાસો કરવામાં આવતો નથી. આ વાતને છુપાવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ જે 36 વિમોનોને લઈ ફ્રાન્સની રાફેલ કંપની સાથે કરેલા કરારની વિગતો જાહેર કરવામાં આવતી નથી. આ અંગે તેમણએ દેશને જણાવવું જોઈએ. કોઈ કારણોસર રાફેલ ડીલ 60145 કરોડ રૂપિયામાં થઈ હોવાની વાત સામે આવી છે. જે મુજબ સરકારને પ્રતિ વિમાન 1670 કરોડ રૂપિયામાં પડશે', તેમ ચિદમ્બરમે જણાવ્યું હતું.

કોંગ્રેસે રાફલ મામલો ઉઠાવીને મોદી સરકાર અને ભાજપને ઘેરવા માટે રણનીતિ બનાવી છે. જે મુજબ કોંગ્રેસના 50 નેતા 100 શહેરોમાં મોદી સરકાર સામે પ્રેસ કોન્ફરન્સ કરશે. જે અંતર્ગત ચિદમ્બરમે શનિવારે કોલકાતામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.

રાફેલ ડીલમાં અનિયમિતતાને લઈ મોદી સરકાર સામે દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ કરવા માટે  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 6 સભ્યોની ટીમ બનાવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયપાલ રેડ્ડીને આ ટીમના પ્રમુખ બનાવાયા છે.