નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદની વચ્ચે ભારતીય વાયુસેનાને વધુ એક મજબૂતી મળવા જઇ રહી છે. આગામી 29 જુલાઇએ ઇન્ડિયન એરફોર્સને સૌથી શક્તિશાળી ફાઇટર જેટ રાફેલનો સાથ મળવા જઇ રહ્યું છે. રિપોર્ટ છે કે, ફ્રાન્સથી પહેલા પાંચ રાફેલ વિમાનો ભારતને 29 જુલાઇએ મળવાના છે. ભારતને રાફેલ મળતા જ એરફોર્સ આ વિમાનોને ચીન બોર્ડર નજીક એટલે કે અંબાલા એરબેઝ પર તૈનાત કરશે.


ભારતીય વાયુસેનાએ નિવેદન આપીને કહ્યું છે કે રાફેલ ફાઇટર જેટ્સની પહેલી ખેપ આ મહિનાના અંતમાં એટલે કે 29 જુલાઇ ભારત પહોંચી જશે, અને તેને અંબાલા એરબેઝ પર તૈનાત કરાશે, અહીં અંબાલામાં ભારતીય વાયુસેનાનો અડ્ડો છે. આ તૈનાતી દરમિયાન કોઇપણ પ્રકારની મીડિયા કવરેજ નહીં થાય.

વાયુસેના પ્રવક્તા અનુસાર, કેમકે વાયુસેનાના પાયલટ્સ અને ક્રૂની ફ્રાન્સમાં રાફેલ જેટ્સ અને તેના હથિયારો પર ટ્રેનિંગ પુરી થઇ ચૂકી છે, એટલા માટે આ રાફેલ વિમાનોને જલ્દીથી ચીન સીમા પર ઓપરેશનલી તૈનાત કરી દેવામાં આવશે. વાયુસેના અનુસાર ઓગસ્ટ મહિનામાં બીજા ભાગમાં રાફેલ વિમાનોની ફાઇનલ ઇન્ડક્શન થશે અને તે દરમિયાન મીડિયા કવરેજ થશે.

સોમવારે રાફેલ વિમાનો માટે ગેમ ચેન્જર મિસાઇલ સપ્લાય કરનારી યુરોપીય કંપની, એમબીડીએએ એક નિવેદન આપીને રાફેલની ખાસિયતો પણ ગણાવી હતી.

લદ્દાખ સીમા પર ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવની વચ્ચે રાફેલ ગેમ ચેન્જર તરીકે સામે આવી શકે છે. રાફેલની તૈનાતીથી ઇન્ડિયન એરફોર્સને વધુ તાકાત મળી શકશે.