નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ ફરી એક વખત ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકાના ટાઈમ મેગેઝીને બીજેપી અને વોટ્સએપ વચ્ચે સાંઠગાંઠ ખુલ્લી પાડી છે. એક ખબરનો ઉલ્લેખ કરી કહ્યું કે, વોટ્સએપ પર બીજેપીનું નિયંત્રણ છે.


રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું, અમેરિકામાં ટાઈમ મેગેઝિને વોટ્સએપ-બીજેપીની સાંઠગાંઠને ખુલ્લી પાડી છે. વોટ્સએપનો ઉપયોગ ભારતની 40 કરોડ જનતા કરે છે અને તે પેમેન્ટ સેવા શરૂ કરવા માંગે છે. આ માટે મોદી સરકારની મંજૂરી જરૂરી છે. આ રીતે વોટ્સએપ પર બીજેપીનું નિયંત્રણ છે.



આ પહેલા તેમણે ફેસબુક અને વોટ્સએપને લઈ બીજેપી પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, બીજેપી અને આરએસએશ આ બંને સંગઠન ભારતમાં ફેસબુક અને વોટ્સએપનું કંટ્રોલ કરે છે. તેની સાથે કહ્યું હતું કે, બીજેપી અને આરએસએશ ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી ભ્રામક ખબરો અને નફરત ફેલાવાનું કામ કરે છે.

જેને લઈ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હારેલા લોકો કહે છે કે સમગ્ર દુનિયા પર બીજેપી અને આરએસએસનું નિયંત્રણ છે.