નવી દિલ્હી: કૉંગ્રેસે લદાખની ગલવાન ઘાટીમાં ભારતીય જવાનોની શહીદી પર રક્ષામંત્રી રાજનાથસિંહના નિવેદનમાં ચીનના નામનો ઉલ્લેખ ન હોવા પર નિશાન સાધ્યું છે. કહ્યું કે, ગુમરાહ કરવાના બદલે તેઓએ સામે આવીને જવાબ આપવો જોઈએ. કૉંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે, જવાનોની શહીદી પર દુખ વ્યક્ત કરવામાં રાજનાથ સિંહને બે દિવસનો સમય કેમ લાગ્યો ?


રક્ષામંત્રીના ટ્વીટને રિટ્વીટ કરતા રાહુલ ગાંધીએ કહ્યું, “જો આ (શહીદી) ખૂબજ દુ:ખદાયક હતી, આપે પોતાના ટ્વિટમાં ચીનના નામનો ઉલ્લેખ કેમ નથી કર્યો, દુખ વ્યક્ત કરવામાં બે દિવસનો સમય કેમ લાગ્યો ? જ્યારે આપણા જવાન શહીદ થઈ રહ્યાં હતા ત્યારે આપે રેલીઓને કેમ સંબોધન કરી ? ”



કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, “રાજનાથ સિંહજી, ચીનનું નામ લખવામાં પણ કેમ ડરો છો ? આપણા કેટલા સૈનિકો શહીદ થયા ? તમે તે કેમ નથી જણાવતા ? શું ચીને આપણા સૈનિકોને કિડનેપ કર્યા છે. ” તેમણે કહ્યું, ગુમરાહ ન કરો, સામે આવીને જવાબ આપો.

ઉલ્લેખનીય છે કે, રક્ષામંત્રી રાજનાથ સિંહે ચીની સેના સાથે થયેલી હિંસક અથડામણમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતા બુધવારે કહ્યું કે, ગલવાન ઘાટીમાં સૈનિકોને ગુમાવવું ખૂબજ પરેશાન કરનારું અને દુખદ છે. તેમણે કહ્યું કે, ભારતયી જવાનોએ કર્તવ્યનું પાલન કરતા સાહસ અને વીરતાનું પ્રદર્શ કર્યું અને પોતાનો જીવ આપી દીધો.

રક્ષામંત્રીએ ટ્વીટ કરી હતી કે, “દેશ પોતાના સૈનિકોની બહાદુરી અને બલિદાનને નહીં ભૂલે. શહીદ સૈનિકોના પરિવારો પ્રત્યે મારી સંવેદાઓ છે. દેશ આ મુશ્કેલ સમયમાં તેમની સાથે ઉભો છે. અમને ભારતના વીરોની બહાદુરી અને સાહસ પર ગર્વ છે. ”