નવી દિલ્હી: કોંગ્રેસના  પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને વધુ એક પત્ર લખીને કોરોના વાયરસના તમામ સ્વરૂપની તપાસ વૈજ્ઞાનિક ઢબથી કરવા અને સમગ્ર વિશ્વને તે અંગે જાણ કરવા અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ ખુલ્લો આરોપ મુકયો કે સરકારની નિષ્ફળતાના કારણે દેશ ફરી એક વખત લોકડાઉનના આરે આવી ગયો છે. પોતાના પત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં કોરોનાના મ્યૂટેશન (Coronavirus Mutation)ને સતત ટ્રેક કરવો જોઈએ. કૉંગ્રેસ નેતાએ કહ્યું કે, તમામ મ્યૂટેશન પર વહેલામાં વહેલી તકે ઉપલબ્ધ વેક્સીન (Corona Vaccine)ને ટેસ્ટ કરવામાં આવે. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના તમામ લોકોને ઝડપથી વેક્સીન આપવાનો પ્રબંધ કરવામાં આવે.



રાહુલ ગાંધીએ કહ્યું- હું આપને ફરી એકવાર પત્ર લખવા માટે મજબૂર છું કારણ કે, આપણો દેશ કોવિડ સુનામીની ઝપેટમાં આવી ચૂક્યો છે. આ પ્રકારના સંકટમાં ભારતના લોકો આપની સૌથી મોટી પ્રાથમિકતા હોવી જોઇએ. હું આપને આગ્રહ કરું છું કે, તમારે દેશના તમામ લોકોને આ પીડામાંથી મુક્ત કરવા માટે સંભવ પ્રયાસ કરવો જોઇએ. 


રાહુલ ગાંધીએ PM મોદીને પત્ર લખતા કોરોના પર નિયંત્રણ મેળવવા 4 સૂચન આપ્યા


વૈજ્ઞાનિક રીતે વાયરરસ અને તેના મ્યૂટેશનને દેશભરમાં ટ્રેક કરવામાં આવે. તેના માટે જીનોમ સિકેંસિંગ સાથે બીમારીની પેટર્ન સમજી શકાય. 


તેમણે પ્રધાનમંત્રીને સૂચન કર્યું હતું કે, આ વાયરસ અને તેના વિભિન્ન સ્વરૂપો વિશે વૈજ્ઞાનિક રીતે ઓળખ કરવામાં આવે. તમામ નવા મ્યૂટેશન વિરૂદ્ધ રસીની અસર અને તેની આકારણી કરવામાં આવે. 


તમામ લોકોને કોરોનાની રસી આપવામાં આવે.  


જે ડબલ મ્યૂટન્ટ અને ટ્રીપલ મ્યૂટન્ટને આપણ જોઇ રહ્યા છીએ તે શરૂઆત જ હોઇ શકે છે. તેમના પ્રમાણે, આ વાયરસને અનિયંત્રિત ઢંગથી પ્રસારિત ન થવું તે આપણા દેશના લોકો માટે ઘાતક સાબિત થઇ શકે છે. આ સાથે જ રાહુલે કહ્યું કે, કોવિડ વિરૂદ્ધ રસીકરણને લઈને કેન્દ્ર સરકાર દ્વારા કોઇ સ્પષ્ટ રણનીતિ નક્કી કરવામાં આવી નથી. 


 


દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 36 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,14,188 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3915 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,31,507 લોકો ઠીક પણ થયા છે.