નવા કૃષિ કાયદાના વિરોધમાં આજે ખેડૂતો રેલ રોકો આંદોલન કરશે. બપોરે 12થી 4 વાગ્યા સુધી ખેડૂતો રાષ્ટ્રીય વ્યાપી રેલ રોકો આંદોલન કરશે. ખેડૂતોની આ આંદોલનની જાહેરાતને પગલે રેલવેએ પણ સુરક્ષામાં વધારો કર્યો છે અને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વધારાના સુરક્ષાદળો ગોઠવ્યા છે.


રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સની 20 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ટિકૈતે કહ્યું કે ગુરુવારના રેલ રોકો આંદોલનમાં ગામડાના લોકો આગેવાની લઈને ભાગ લેશે. રેલવેએ દેશમાં લગભગ 20 હજાર વધારાના જવાનોએ સુરક્ષા માટે તૈનાત કર્યા છે.

જો કે મુખ્ય ધ્યાન પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ પર રાખવામાં આવ્યું છે. પંજાબમાંથી પસાર થતી ટ્રેન રદ્દ અથવા ડાયવર્ટ કરવામાં આવી છે.

સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું, “18 ફેબ્રુઆરીએ દેશભરમાં રેલ રોકો કાર્યક્રમમાં બધાને શાંતિથી પ્રદર્શનની અપીલ કરવામાં આવે છે. બપોરે 12થી 4 સુધી રેલ રોકવાનો કાર્યક્રમ થશે જેમાં દેશભરમાંથી સમર્થનની આશા છે.”

રેલવે સુરક્ષાદળના ડીજી અરૂણ કુમારે કહ્યું કે, “હું બધાને શાંતિ જાળવી રાખવાની અપીલ કરુ છું. અમે જિલ્લા પ્રશાસનની સાથે સંપર્ક રાખીશું અને કન્ટ્રોલઈ પોઈન્ટ બનાવીશું.”