મુંબઈ: પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવેલા ઘુસણખોરોને બહાર કરવાની માંગને લઈને મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મહારેલીનું આયોજન કર્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં મનસેના કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા હતા. બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા ઘુસણખોરોને બહાર કરવાની માંગને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીને સંબોધન કરતા મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું મને નથી સમજાતુ કે મુસ્લિમ નાગરિકતા કાયદાનો કેમ વિરોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું નાગરિકતા કાયદો ભારતમાં જન્મેલા મુસલમાનો માટે નથી. તમે વિરોધ કરી કોને તાકત બતાવી રહ્યા છો.


રાજ ઠાકરેએ પોતાના ભાષણમાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘુસણખોરો પર નિશાન સાધ્યું તો બીજી તરફ સીએએ અને એનઆરસીનું સમર્થન કર્યું હતું. રાજ ઠાકરેએ કહ્યું મારો દેશ ઘર્મશાળા નથી કે કોઈપણ આવે અને રહેવા લાગે. નાઈઝીરીયાથી પણ લોકો આવી અહીં ડ્રગ્સ વહેંચી રહ્યા છે પણ સરકાર કંઈ નથી કરી શકતી.

રાજ ઠાકરેએ ક્રાઈમના મુદ્દા પર સરકારને આડે હાથ લીધી હતી. રાજ ઠાકરેએ કહ્યું જો સરકાર મહારાષ્ટ્ર પોલીસને 48 કલાક છુટ આપે તો રાજ્યમાં ક્રાઈમ ઝીરો થઈ જશે.

મનસેની મહારેલી પહેલા રાજ ઠાકરેએ સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજા કરી હતી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની મહારેલીમાં ખૂબ જ મોટી સંખ્યાં મનસેનાં કાર્યકર્તાઓ જોડાયા હતા. આ રેલી જીમખાનાથી શરૂ થઈ, જે મરીન ડ્રાઇવથી આઝાદ મેદાનમાં સમાપ્ત થઈ હતી.