Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બરાબર જામી છે. આ ચૂંટણીમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવી રહ્યો છે. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ યુનિફોર્મ સિવિલ કોડને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. જોકે તેમણે આ મુદ્દે વિસ્તૃત ચર્ચાની પણ ભલામણ કરી હતી.  


કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું હતું કે, ભાજપ યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ ચર્ચા અને ચર્ચા પછી. તેમણે કહ્યું હતું કે, ભાજપે જનસંઘના સમયથી દેશની જનતાને આ વચન આપ્યું છે. માત્ર ભાજપ જ નહીં, બંધારણ સભાએ પણ સંસદ અને રાજ્યોને યોગ્ય સમયે UCC લાવવાની સલાહ આપી હતી. કારણ કે, કોઈ પણ ધર્મનિરપેક્ષ દેશ માટેના કાયદા ધર્મ પર આધારિત ન હોવા જોઈએ. જો દેશ અને રાજ્ય ધર્મનિરપેક્ષ હોય તો કાયદા ધર્મ આધારિત કેવી રીતે હોઈ શકે? જેથી દરેક માટે સંસદ અથવા રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદો હોવા જોઈએ.


"લોકશાહીમાં ચર્ચા અનિવાર્ય : શાહ


અમિત શાહે એક સમિટમાં દાવો કર્યો હતો કે, બંધારણ સભાની પ્રતિબદ્ધતાને સમયની સાથે ભૂલાવી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષ સમાન નાગરિક સંહિતાના પક્ષમાં નથી. લોકશાહીમાં ચર્ચા જરૂરી છે. તેથી આ મુદ્દે પણ ખુલ્લી અને સ્વસ્થ ચર્ચાની જરૂર છે.


"સમાન નાગરિક સંહિતા લાવવા માટે ભાજપ પ્રતિબદ્ધ"


ગૃહમંત્રીએ કહ્યું હતું કે, ભાજપ શાસિત ત્રણ રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાતમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશોની અધ્યક્ષતામાં એક પેનલની રચના કરવામાં આવી છે, જ્યાં વિવિધ ધર્મના લોકો તેમના મંતવ્યો રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, આ કવાયત બાદ જે ભલામણો આવશે તેના આધારે અમે કાર્યવાહી કરીશું. તમામ લોકતાંત્રિક ચર્ચાઓ પૂરી થયા બાદ ભાજપ સમાન નાગરિક સંહિતા લાવવા માટે પ્રતિબદ્ધ છે.


શું જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ તેમની સૌથી મોટી સફળતા છે એમ પુછવામાં આવતા ગૃહમંત્રી શાહેએ કહ્યું હતું કે, કોઈપણ સફળતા તેમની વ્યક્તિગત સફળતા નથી કારણ કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં મંત્રી છે અને દરેક સફળતા સરકારની છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ઘણા વર્ષોથી એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે, કલમ 370ના કારણે જ જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ હતો. હવે ન તો કલમ 370 છે અને ન તો કલમ 35A, છતાં જમ્મુ-કાશ્મીર ભારતની સાથે જ છે.