જયપુર: રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, જલ્દી જ વિધાનસભા સત્ર શરુ થશે અને બહુમત અમારી સાથે છે. સમગ્ર કૉંગ્રેસ એકજૂટ છે. જે લોકોએ ભૂલ કરી છે અને ભટકી ગયા છે, તેઓ કોર્ટમાં ગયા છે. ગેહલોતે કહ્યું કે, પાર્ટીના ધારાસભ્ય એકજૂટ છે અને જલ્દીજ સત્ર બોલાવાશે. અમે બહુમત સાબિત કરીને બતાવી દઈશું.


પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા ગેહલોતે કહ્યું કે, “મોદીજીના રાજમાં અમિત શાહના ઈશારા પર સીબીઆઈ, ઈડી કઈ રીતે કામ કરી રહી છે તે બધાને ખબર છે એમાં કોઈ નવી વાત નથી. પહેલા દરોડા પાડ્યા બાદ ખબર પડતી હતી કે, અહીં દરોડા પડ્યા છે પરંતુ હવે ત્રણ-ચાર દિવસ પહેલા જ ખબર પડી જાય છે કે, અહીં દરોડા પડવાના છે. તેમાં ડરવાની જરૂર નથી, ના તો અમારુ મિશન રોકાઈ જવાનું છે. બીજેપીની નીતિ દેશને બરબાદ કરનારી છે. તેની સામે મુકાબલો કરવાનો દમ માત્ર કૉંગ્રેસમાં છે. ”

અશોક ગેહલોતે કહ્યું કે, મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે કોરોના સામે લડવું જોઈતું હતું પરંતુ મધ્ય પ્રદેશમાં સરકાર બનાવી લીધી છે. આ પહેલા પણ કર્ણાટકમાં આમ થયું હતું. આજે અમે આ મહામારીથી લડી રહ્યાં છે અને તમે હોર્સ ટ્રેન્ડિંગ દ્વારા સરકાર પાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે.