Rajasthan Assembly Elections 2023: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ પ્રચાર કાર્ય વેગીલું બની રહ્યું છે. (Rajasthan Assembly Election) આ દરમિયન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક (Rajasthan CM Ashok Gelhot) ગેહલોતે મોટો દાવો કર્યો છે. તેમણે ઉદયપુરના દરજી કન્હૈયા લાલની (tailor Kanhaiya Lal) હત્યા મામલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે કન્હૈયા લાલની હત્યા કરનાર વ્યક્તિ ભાજપ સાથે સંબંધિત છે. તેમણે એમ પણ કહ્યું કે 25 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ રાજ્યમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે.


સીએમ ગેહલોતે રવિવારે જોધપુરમાં પત્રકારોને જણાવ્યું હતું કે જો રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG)એ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને બદલે કેસ સંભાળ્યો હોત, તો તપાસ તેના તાર્કિક નિષ્કર્ષ પર પહોંચી હોત. તેણે કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને મને તેની માહિતી મળતા જ મેં મારો નિર્ધારિત કાર્યક્રમ રદ કર્યો અને ઉદયપુર જવા રવાના થયો. જોકે, ઉદયપુરની ઘટનાની જાણ થતાં પણ ભાજપના ઘણા ટોચના નેતાઓએ હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું. ઘટનાના દિવસે NIAએ કેસનો કબજો લીધો હતો અને રાજ્ય સરકારે તેની સામે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો.


શું છે મામલો


ગયા વર્ષે 28 જૂને ઉદયપુરના માલદાસ વિસ્તારમાં કન્હૈયા લાલની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યા બાદ તરત જ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે માથું કાપ્યાનો દાવો કર્યો હતો. જોકે, ઘટનાના થોડા કલાકોમાં જ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું હતું કે હુમલાખોરોએ વીડિયોમાં પોતાની ઓળખ રિયાઝ અખ્તારી અને ગૌસ મોહમ્મદ તરીકે આપી હતી.


ભાજપના નેતાઓ તેને છોડાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા


રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ઘટનાના થોડા દિવસો પહેલા હુમલાખોરોને પોલીસે અન્ય એક કેસમાં પકડ્યા હતા અને તેમને છોડાવવા માટે ભાજપના નેતાઓ પોલીસ સ્ટેશન આવ્યા હતા. ગયા વર્ષે 28 જૂનના રોજ, બે હુમલાખોરો ઉદયપુરમાં કન્હૈયા લાલની દુકાનમાં ઘૂસી ગયા હતા અને સસ્પેન્ડ કરાયેલા ભાજપ નેતા નુપુર શર્માના સમર્થનમાં કથિત રીતે સામગ્રી પોસ્ટ કરવા બદલ દરજી કન્હૈયા લાલનું ધોળા દિવસે માથું વાઢી નાંખ્યું હતું.


ઘટનાને લઈને સમગ્ર દેશમાં ફાટી નીકળ્યો હતો રોષ


શર્માને પ્રોફેટ વિરુદ્ધ તેમના કથિત નિવેદનો બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા પછી જ આ ઘટના પ્રકાશમાં આવી હતી. ઉદયપુરના એક દરજીનું માથું કાપી નાખવાની ઘટનાએ સમગ્ર દેશમાં લોકોમાં આક્રોશ ફેલાવ્યો હતો. આ કેસ પ્રકાશમાં આવ્યા પછી ઉદયપુરના ધનમોંડી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો.


રાજસ્થાનમાં 25 નવેમ્બરે મતદાન થશે અને 3 ડિસેમ્બરે મત ગણતરી થશે. 2018 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 200માંથી 99 સીટ જીતી હતી, જયારે ભાજપને 73 સીટ મળી હતી. ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસ ગહલોતને મુખ્યમંત્રી બનાવ્યા હતા.