જયપુર: રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શુક્રવારે રાજસ્થાન હાઈકોર્ટ સચિન પાયલટ સહિત કૉંગ્રેસના 19 બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુનાવણી કરશે. આ ધારાસભ્યોએ સ્પીકર સી પી જોશી તરફથી જાહેર નોટિસની વિરૂદ્ધમાં કોર્ટમાં પહોંચ્યા છે.


રાજસ્થાનમાં છેલ્લા ઘણા દિવસોથી રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે. રાજસ્થાન હાઈકોર્ટની ચીફ જસ્ટિસ ઈંદ્રજીત મોહંતી અને જજ પ્રકાશ ગુપ્તાની બેંચે આ અરજી પર કલાકો સુધી સુનાવણી કરી છે. દેશના નામચીન વકીલ હરીશ સાલ્વે, મુકુલ રોહતગી અને અભિષેક મનુ સિંઘવી અલગ-અલગ પક્ષકારો માટે હાઈકોર્ટમાં લાંબી દલીલો કરી છે.

સાલ્વે અને રોહતગીએ સચિન જૂથનો પક્ષ રાખ્યો તો અભિષેક મનુ સિંઘવીએ સ્પીકર ડૉ જોશીનો પક્ષ રાખ્યો છે. તમામ પક્ષોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે 21 જુલાઈએ નક્કી કર્યું કે નિર્ણય 24 જુલાઈએ સંભળાવવામાં આવશે. પરંતુ આ મામલો માત્ર હાઈકોર્ટ સુધી સિમિત નથી રહ્યો. 22 જુલાઈએ રાજસ્થાન વિધાનસભાના સ્પીકર ડૉ સી પી જોશીએ હાઈકોર્ટમાં થયેલી સુનાવણીને પોતાના અધિકારોનું હનન ગણાવતા સુપ્રીમ કોર્ટમાં એસએલપી દાખલ કરી દીધી હતી. આ એસએલપી સુપ્રીમ કોર્ટમાં ગુરૂવારે સાંભળવામાં આવી પરંતુ સુનાવણી અધુરી રહી ગયી અને સુપ્રીમ કોર્ટે સોમવારે ફરી સુનાવણીની તારીખ આપી છે.