મુંબઈ: રાજ્યસભામાં શપથવિધિ દરમિયાન મહારાષ્ટ્રના ભાજપના રાજ્યસભા સાંસદ ઉદયનરાજે ભોસલેએ શપથવિધિ બાદ ‘જય ભવાની જય શિવાજી’ જયઘોષ કર્યો હતો. તેના પર ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ વાંધો ઉઠાવ્યો હતો. તેના બાદ મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીએ વેંકૈયા નાયડુ પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ મુંબઈ અને રાજ્યના અલગ અલગ શહેરમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.


શિવસેનાના કાર્યકર્તાઓએ કહ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજના જયઘોષ બોલવાથી તેમના ખુદના વંશજ પર વેંકૈયા નાયડુએ ઉઠાવેલા વાંધાથી મહારાષ્ટ્રના શિવાજી મહારાજના ભક્તોને દુખ પહોંચ્યું છે. શિવસેનાના કાર્યકર્તાએ તેને શિવાજી મહારાજનું અપમાન ગણાવ્યું હતું.

મુંબઈના દહિસર વિસ્તારમાં શિવસેના કાર્યકર્તાઓએ, ધારાસભ્ય પ્રકાશ સુર્વે અને ધારાસભ્ય વિલાસ પોતનીસના નેતૃત્વમાં આંદોલન કરી વેંકૈયા નાયડૂ વિરુદ્ધ નારેબાજી કરી હતી. શિવેસૈનિકોએ વેંકૈયા નાયડૂની તસવીર લગાવીને પોસ્ટર સાથે વિરોધના નારા લગાવ્યા હતા.

જો કે, આ પ્રદર્શન દરમિયાન શિવસેનાના ધારાસભ્ય અને કાર્યકર્તા ખુદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિર્દેશોનું મજાક ઉડાવતા નજર આવ્યા હતા. મુંબઈમાં ધારા 144 લાગુ છે અને મુખ્યમંત્રીના સામાજિક અંતરના પાલનના નિર્દેશ અને નિવેદન બાદ પણ શિવસેના કાર્યકર્તાઓ નિયમોના ધજાગરા ઉડાવતા નજર આવ્યા હતા. રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યાં હતા અને પોલીસ મૂકદર્શક બની રહી હતી.