રાંચી: ઝારખંડમાં ટાના ભગતોના આંદોલનના કારણે દિલ્હી-રાંચી રૂટ પર રેલેવે ઠપ થઈ ગઈ હતી. ગુરુવારે દિલ્હીથી રાંચી જનારી રાજધાની એક્સપ્રેસને 9 કલાકની રાહ જોયા બાદ યાત્રીઓને બસ દ્વારા રાંચી રવાના કર્યા હતા. પરંતુ એક યાત્રીએ બસથી જવાનો ઈનકાર કરી દેતા રેલવેએ એક યાત્રી માટે અલગથી રાજધાની એક્સપ્રેસ દોડાવી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જેને એક રેલવે અધિકારીએ ખોટો ગણાવ્યા છે.


ધનબાદ ઝોનના સીનિયર ડીસીએમ એકે પાંડેએ અહેવાલને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, ટ્રેનને ડીડીઓમાં લાવવામાં આવી હતી. પરંતુ કોઈ પોઝિટિવ ડેવલપમેન્ટ ન હોવાના કારણે જિલ્લા પ્રશાસનની મદદથી તમામ યાત્રીઓને બસ મારફતે મોકલવામાં આવ્યા હતા. કોઈ પણ યાત્રી માટે ટ્રેન ચલાવામાં આવી નથી.

પહેલા શું સમાચાર આવ્યા હતા ? 

રાજધાની એક્સપ્રેસમાં કુલ 930 પેસેન્જર સવાર હતા, ટ્રેન ન ચાલવાની સ્થિતિમાં રેલવેએ તેમના માટે બસ દ્વારા મોકલવાની વૈકલ્પિક વ્યવસ્થા બનાવી હતી. પરંતુ આ ટ્રેનમાં સવાર રાંચીની અનન્યાએ બસથી જવાનો ઈનકારી કરી દીધો હતો. અનન્યા મુગલસરાયથી ટ્રેનમાં સવાર હતા અને રાંચી સુધી મુસાફરી કરી રહી હતી. તે બનારસમાં એલએલબી નો અભ્યાસ કરી રહી છે.

અનન્યાને રેલવે અધિકારીઓ અને સાથે યાત્રા કરી રહેલા યાત્રીઓએ પણ સમજાવી હતી કે બસથી જતા રહે કારણ કે કોઈ એક યાત્રી માટે ટ્રેન દોડી શકે નહીં. પરંતુ અનન્યાએ સ્પષ્ટ ઈનકાર કરી દીધો અને કહ્યું કે યાત્રીને તેમના સ્થળ સુધી પહોંચાડવની રેલવેની જવાબદારી છે, તેથી તે બસથી નહીં જાય. રેલવે અધિકારીએ કારથી મોકલવાની પણ વાત કરી પરંતુ અનન્યાએ ઈન્કાર કરી દીધો. આ વાત દિલ્હી રેલવેના ઉચ્ચ અધિકારી સુધી પહોંચી તો તે યુવતી માટે ટ્રેન ચલાવાના આદેશ આપવામાં આવ્યા. તેના બાદ અધિકારીઓએ દિલ્હી-રાંચી રાજધાની રૂટ બંધ હોવાના કારણે પહેલા ગયા મોકલવામાં આવી ત્યાંથી ગોમો અને બોકારો થઈને રાંચી રવાના કરવામાં આવી હતી.

ટ્રેન રાતે 1.45 મિનિટ પર રાંચી સ્ટેશન પહોંચી, જેમાં રેલવે કર્મચારીઓને છોડીને અનન્યા એકમાત્ર યાત્રી હતી. સુરક્ષા માટે એક આરપીએફ જવાન પણ સાથે હતા. રેલવેના ઈતિહાસમાં કદાચ પહેલીવાર આવું બન્યુ હશે કે, એક યાત્રી માટે રાજધાની ટ્રેને 535 કિમી લાંબું અંતર કાપી યાત્રા કરી હોય.  જો કે, આ સમાચાર એક અધિકારીએ ખોટા ગણાવ્યા છે.