કોલકાતા: શારદા ચીટફંટ કૌભાંડમાં કેંદ્રીય તપાસ એજન્સી દ્વારા પુછપરછ અને આ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્ય સરકારે સોમવારે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની બદલી કરી છે. રાજીવ કુમારને સીઆઈડીમાં એડીજી બનાવવામાં આવ્યા છે.


સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચના આદેશ અનુસાર એક જ પદ પર ત્રણ વર્ષ કરતા વધારે રહેવાના કારણે લોકસભા ચૂંટણી પહેલા રાજીવ કુમારની બદલી નક્કી હતી. એજ કારણે તેમને ગુપ્તચર વિભાગમાં મોકલવામાં આવ્યા છે.

તેમને સોમવારે વિદાય આપવામાં આવી. તેમની જગ્યાએ અનુજ શર્માને કોલકાતાના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. સુત્રોની જાણકારી મુજબ સીબીઆઈએ કુમાર સહિત ઘણા પોલીસ અધિકારીઓ સામે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખળ કરી રાખ્યો છે. જેની સુનાવણી 20 ફેબ્રુઆરીએ થશે. તેના એક દિવસ પહેલા જ તેમની બદલી કરી દેવામાં આવી છે.

ચીટફંડ કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટના આદેશ પર સીબીઆઈ રાજીવ કુમારની શિલોંગમાં પાંચ દિવસ સુધી પુછપરછ કરી ચુક્યું છે. 20 ફેબ્રુઆરીએ સીબીઆઈ સુપ્રીમ કોર્ટમાં રાજીવ કુમાર સામે પુછપરથ ચાલી રાખવાની મંજૂરી માંગી શકે છે.