નવી દિલ્હીઃ દશેરાનો પર્વ ભગવાન રામ દ્ધારા રાવણ વધના રૂપમા મનાવવામાં આવશે. આ અવસરને દેશભરની જાણીતી હસ્તીઓ ખાસ રીતે મનાવે છે. આ વર્ષે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પોતાની શસ્ત્ર પૂજાની પરંપરા જાળવી રાખશે. આઠ ઓક્ટોબરના રોજ રાજનાથ સિંહ પ્રથમ રાફેલ ફાઇટર જેટ સાથે ફ્રાન્સમાં શસ્ત્ર પૂજા કરશે. નોંધનીય છે કે જ્યાં સુધી રાજનાથ સિંહ ગૃહમંત્રી હતા ત્યારે પણ તેઓ દર વર્ષે શસ્ત્ર પૂજા કરતા હતા.


ગયા વર્ષે રાજનાથ સિંહે બીએસએફના જવાનો સાથે બીકાનેરમાં શસ્ત્ર પૂજા કરી હતી. રાજનાથ સિંહ ફ્રાન્સમાં સૌ પ્રથમ રાફેલ ફાઇટર જેટમાં એક ઉડાણ ભરશે. આઠ ઓક્ટોબરે પણ વાયુસેના દિવસ છે. તે દિવસે રાજનાથ સિંહ બોર્ડિઓક્સ પાસે મેરિનેકમાં રાફેલ જેટ રીસિવ કરશે. નવ  ઓક્ટોબરના રોજ રાજનાથ સિંહ વરિષ્ઠ એરફોર્સ અધિકારીઓ સાથે પેરિસ જશે. તેમની સાથે વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ એર માર્શલ એચએસ અરોરા પણ હશે.  રાફેલ ફાઇટરને ભારતીય જરૂરિયાતો અનુસાર ફેરફાર કરવામાં આવ્યા છે. રાફેલ ફાઇટર જેટ ઉડાવવા માટે ભારતીય એરફોર્સના કેટલાક પાયલટોને ટ્રેનિંગ આપવામાં આવી ચૂકી છે.