રાજ્યસભાની પેટા ચૂંટણીમાં ભાજપે ઉત્તરપ્રદેશથી કોને બનાવ્યા ઉમેદવાર, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Aug 2020 04:37 PM (IST)
જયપ્રકાશ નિષાદનો કાર્યકાળ 5 મે, 2022 સુધી રહેશે. બસપા છોડ્યા બાદ જયપ્રકાશ ફેબ્રુઆરી 2018માં ભાજપમાં સામેલ થયા હતા.
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ 24 ઓગસ્ટના રોજ થનારી રાજ્યસભા પેટા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશથી જયપ્રકાશ નિષાદને ઉમેદવાર બનાવ્યા છે. ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની આ પેટા ચૂંટણી સમાજવાદી પાર્ટીના નેતા બેની પ્રસાદ વર્માના નિધનથી ખાલી પડેલી સીટ માટે થઈ રહી છે. જયપ્રકાશ નિષાદ ગોરખપુરના ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ છે. નિષાદ પહેલા બહુજન સમાજ પાર્ટીમાં હતા. જયપ્રકાશ નિષાદ પૂર્વ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. 2012માં બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પરથી ચૌરીચૌરા સીટ પરથી ધારાસભ્ય રહી ચુક્યા છે. ભાજપે જયપ્રકાશ નિષાદને રાજ્યસભા ચૂંટણીના ઉમેદવાર બનાવી પછાતો પર દાવ લગાવ્યો છે. જયપ્રકાશ નિષાદનો કાર્યકાળ 5 મે, 2022 સુધી રહેશે. બસપા છોડ્યા બાદ જયપ્રકાશ ફેબ્રુઆરી 2018માં ભાજપમાં સામેલ થયા હતા.