નવી દિલ્હીઃ ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાને સીબીઆઈના ઇન્ચાર્જ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. સીબીઆઈના હાલના ડાયરેક્ટર અનિલ સિન્હા 2 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થયા. સીબીઆઈ ડાયરેક્ટરની નિમણૂંક કરનાર કોલેજિયમે અત્યાર સુધી કોઈ નવા ડાયરેક્ટરનું નામ ફાઈનલ કર્યું નથી. માટે રાકેશ અસ્થાનાને હાલમાં સીબીઆઈના ઇન્ચાર્જ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.


સરકારે 1 ડિસેમ્બરની રાતે આશ્ચર્યજનક રીતે નિર્ણય કરતાં સીબીઆઈમાં નંબર 2 રહેલ સ્પેશિયલ ડાયરેક્ટર રૂપક કુમાર દત્તાને ગૃહમંત્રાલયમાં ટ્રાન્સફર કર્યા અને સીબીઆઈમાં જ એડિશનલ ડાયરેક્ટર તરીકે કામ કરી રહેલ નંબર ત્રણ આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાને ઇન્ચાર્જ ડાયરેક્ટર બનાવ્યા. અસ્થાના ગુજરાત કેડરના 1984 બેચના આઈપીએસ અધિકારી છે.

રાકેશ અસ્થા નાની પાસે હાલમાં સીબીઆઈના અનેક કેસ છે. જેમાં અગસ્ટા વેસ્ટલેન્ડ ડીલ અને વિજય માલ્યા કેસ પણ મુખ્યરૂપથી સામેલ છે. વિતેલા વર્ષે જ રાકેશ અસ્થાનાને મોદી સરકાર સીબીઆઈમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે લઈને આવી હતી. રાકેશ અસ્થાના આ પહેલા પણ સીબીઆઈમાં 1992થી 2002 સુધી કામ કરી ચૂક્યા છે. દેશમાં ચર્ચિત ઘાસચારા કૌભાંડમાં પ્રારંભિત તપાસમાં તેમની ભૂમિકા મહત્ત્વની હતી.